કાળી ચૌદશના દિવસે એવી લોક પરંપરા છે કે સવારે વહેલા ઉઠીને સ્ત્રીઓએ ઘરનો કચરો કાઢી, કોઈ જુએ નહિ એ રીતે ચાર રસ્તા પર મુકવો જોઈએ, જેનાથી ઘરનો કકળાટ દૂર થાય છે. પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. આ દિવસે ઘરનો કચરો કાઢવાનો અર્થ છે, મનુષ્યરૂપી દેહમાંથી દુર્ગુણરૂપી કચરાને બહાર કાઢવો. માણસ તેમના પૂર્વગ્રહોથી મુક્ત થઈ અનંત તરફ ગતિ કરી શકે એ માટે આ તહેવાર ઉજવવામાં આવે છે. ખાસ તો કાળી ચૌદશ તાંત્રિક વિદ્યા માટે પ્રસિદ્ધ છે. ધર્મશાસ્ત્રો અનુસાર ઈશ્ર્વર પ્રાપ્તિના અનેકો રસ્તા છે. જેમામાં કેટલાક સાત્વિક છે તો કેટલાક તાંત્રિક છે.
હિંદુ ધર્મશાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે કલા અને તંત્રવિદ્યાનો જન્મ ભગવાન શિવમાંથી થયો છે. (જોકે, એ પણ સમજવું જોઈએ કે શિવમાંથી જ સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે.) સમજવામાં સરળતા રહે એ માટે એટલું સમજવું જરૂરી છે કે ભગવાન શિવ યોગવિદ્યા તથા તંત્રવિદ્યાના જનક છે. તેથી તેમને આદિયોગી પણ કહે છે. કાળી ચૌદશના દિવસે તાંત્રિકો અને અઘોરીઓ તંત્રસાધના કરી ઈશ્ર્વર પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહે છે. આ ઉપરાંત આ દિવસે પ્રેતાત્મા પણ ભગવાન શિવની ઉપાસના કરે છે. એક પૌરાણિક કથા એવી પણ છે કે, નરકાસુર નામના રાક્ષસે સોળ હજાર જેટલી ક્ધયાઓને કેદ કરી રાખી હતી. તેમને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ પણ આ દિવસે જ કર્યો હતો.
- Advertisement -
આ વધ તેમણે પોતાની પત્ની સત્યભામા સાથે મળીને કર્યો હતો. જેને લઈને આ દિવસને નરકા ચતુર્દસી કે નરક ચતુર્દસી કહે છે. આ ક્ધયાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતાં. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે. એ ઉપરાંત આ દિવસે માતા દુર્ગાના મહાકાળી સ્વરૂપની ઉપાસના પણ કરવામાં આવે છે. દેવી દુર્ગાના મુખ્ય બે સ્વરૂપો છે. એક સૌમ્ય અને શાંત છે તો બીજું સ્વરૂપ રૌદ્ર અને વિકરાળ છે. કાળી ચૌદશની રાત્રીએ માતા દુર્ગાના રૌદ્ર સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. દુર્ગા માતાનું આ સ્વરૂપ ભક્તોમાં રહેલા દુષ્ટભાવોને દૂર કરીને સાચો માર્ગ બતાવે છે. આજના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે, ગલીના નાકે વડા મૂકીને કકળાટ દૂર કરવાની વિધિ કરે છે. જેની પાછળ એવું કહેવાય છે કે, પરિવારમાં જે કંકાસ કે કલેહ વ્યાપી ગયો હોય તે દૂર થાય અને કુટુંબમાં શાંતિ થાય છે.