કાશ્મીરની જેમ વણઉકેલાયો મુદ્દો ગણાવ્યો: પોતાના નકશામાં પણ બતાવી ચૂક્યું છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે. ગુજરાતનું જૂનાગઢ 1948માં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું. પાકિસ્તાની ચેનલ જિયો ટીવી અનુસાર, સાપ્તાહિક બ્રીફિંગ દરમિયાન પ્રવક્તા બલોચે કહ્યું કે જૂનાગઢને લઈને પાકિસ્તાનનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે. જૂનાગઢ ઐતિહાસિક અને કાયદાકીય રીતે પાકિસ્તાનનો ભાગ છે. તેના પર ભારતનો કબજો યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન છે.
પ્રવક્તા બલોચે કહ્યું કે પાકિસ્તાન જૂનાગઢને જમ્મુ-કાશ્ર્મીરની જેમ વણઉકેલાયેલ મુદ્દો માને છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન હંમેશા જૂનાગઢનો મુદ્દો રાજકીય અને રાજદ્વારી મંચ પર ઉઠાવતું આવ્યું છે અને તેનો શાંતિપૂર્ણ ઉકેલ ઇચ્છે છે. પાકિસ્તાને તેના નકશામાં જૂનાગઢ દર્શાવ્યું આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાને જૂનાગઢને પોતાનો ભાગ હોવાનો દાવો કર્યો હોય. ઓગસ્ટ 2020માં પણ જ્યારે પાકિસ્તાને નવો નકશો બહાર પાડ્યો ત્યારે જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો. આ પછી ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પાકિસ્તાનનો આ પ્રયાસ નિરર્થક છે.
જૂનાગઢને પાકિસ્તાન શા માટે પોતાનો ભાગ માને છે? 1947માં ભારતનું વિભાજન થયું હતું. બ્રિટિશ સરકારે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 લાગુ કર્યો હતો. આ અંતર્ગત લેપ્સ ઓફ પેરામાઉન્ટસીનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ સાથે, 565 રજવાડાઓના રાજાઓ તેમના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાન સાથે જોડી શકશે અથવા પોતાનું સ્વતંત્ર રાષ્ટ્ર બનાવી શકે. 15 ઓગસ્ટ, 1947 સુધીમાં, મોટાભાગના રજવાડાઓ ભારત અથવા પાકિસ્તાનમાં જોડાઈ ગયા હતા, પરંતુ ત્રણ રજવાડાઓના વિલીનીકરણની બાબત જટિલ હતી. આ ત્રણ રજવાડાં જૂનાગઢ, કાશ્ર્મીર અને હૈદરાબાદ હતાં. ત્રણ પૈકી હૈદરાબાદ અને જૂનાગઢની સ્થિતિ સમાન હતી. 80%થી 85% વસતિ હિન્દુ હતી અને શાસકો મુસ્લિમ હતા, પરંતુ કાશ્ર્મીરમાં પરિસ્થિતિ વિપરીત હતી. ત્યાંના રાજાઓ હિંદુ હતા અને ત્રણ ચતુર્થાંશ કાશ્ર્મીરીઓ મુસ્લિમ હતા. જો જોવામાં આવે તો મોહમ્મદ અલી ઝીણાની ’ટુ નેશન થિયરી’ મુજબ જૂનાગઢને ભારતમાં ભેળવી દેવું જોઈતું હતું.
- Advertisement -
15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે ભારતના લોકો આઝાદીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જૂનાગઢના લોકો મૂંઝવણમાં હતા, કારણ કે આ દિવસે જૂનાગઢના નવાબ મહાબત ખાને પાકિસ્તાનનો સાથ આપવાની જાહેરાત કરી હતી. એટલે કે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કહેવાય છે કે નવાબ મહાબત ખાન ભારત સાથે રહેવા માગતા હતા, પરંતુ શાહનવાઝે તેમની વાત ન માની. શાહનવાઝ તે સમયે સિંધના મુસ્લિમ લીગના નેતા હતા અને મોહમ્મદ અલી ઝીણાના નજીકના હતા. શ્રીનાથ રાઘવન ’વોર એન્ડ પીસ ઇન મોર્ડન ઈન્ડિયા’માં લખે છે કે શાહનવાઝ જુલાઈ 1947માં ઝીણાને મળે છે. ઝીણા શાહનવાઝને ભાગલાની તારીખ સુધી શાંતિ જાળવવા કહે છે. શાહનવાઝે ઝીણાની વાત માની અને એમ જ કર્યું, પરંતુ 15 ઓગસ્ટ 1947ની તારીખ આવતા જ શાહનવાઝે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાની જાહેરાત કરી. અહીં લોર્ડ માઉન્ટબેટનની સલાહને પણ અવગણવામાં આવી હતી, કારણ કે જૂનાગઢ ભારત સાથે જમીન માર્ગે જોડાયેલું હતું અને પાકિસ્તાન પહોંચવા માટે સમુદ્ર પાર કરવો પડતો હતો.