આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI મેચના કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મોટેરા ગામ સુધીના રસ્તા પર સવારે 9 વાગ્યાથી રાતે મેચ પૂરી થાય ત્યાં સુધી વાહનોની અવરજવર બંધ રહેશે. સાથે જ આજે AMTSની વધારાની 104 બસ દોડાવાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI સીરીઝ રમાઈ રહી છે, જેની ત્રીજી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન આજે લોકોએ ટ્રાફિકમાં ન ફસાવું પડે, એ માટે આજે એએમટીએસની વધારાની 104 બસો દોડાવવામાં આવશે, જેમાં 13 રૂટની 79 બસો અને 5 રૂટની 25 બસો દોડાવવામાં આવશે. એટલે કે કુલ 18 રૂટ પર વધારાની 104 બસો આજે દોડાવવામાં આવશે. સાથે જ જણાવી દઈએ કે આજે મેચના લીધે સ્ટેડિયમ તરફ જવાનો રસ્તો પણ બંધ રહેશે.
- Advertisement -
આ રૂટ રહેશે બંધ
આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ હોવાને લીધે જનપથથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈ મોટેરા ગામ સુધીના રોડ પર સવારે 9 વાગ્યાથી લઈને જ્યાં સુધી મેચ પૂરી ન થાય, ત્યાં સુધી વાહનોની અવરજવર બંધ રહેશે. આ રસ્તો બંધ રહેવાને કારણે વાહનચાલકો તપોવન સર્કલથી ઓએનજીસી ચારરસ્તા થઈને વિસતથી જનપથ થઈ અવરજવર કરી શકશે. આ સિવાય કૃપા રેસિડેન્સિથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈને ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ જઈ શકાશે.
AMTSની બસોના રૂટ
- Advertisement -
જે 13 રૂટ પર 79 બસો દોડાવવામાં આવશે, તેમાં ત્રાગડથી ઇન્દિરાનગર, મણિનગરથી ચાંદખેડા, લાલદરવાજાથી ચાંદખેડા, રાજીવનગર, ત્રાગડ ગામની બસો, સારંગપુરથી અંબા ટાઉનશીપ ત્રિમંદિર, મનમોહન પાર્કથી ત્રિમંદિર, કાલુપુરથી ત્રિમંદિરની બસો, અમરાઇવાડીથી ત્રાગડ, સારંગપુરથી ત્રાગડ, ત્રાગડ ગામથી ભક્તિ સર્કલ, વાસણાથી ચાંદખેડા ગામ અને લાલદરવાજાથી કલોક ઇન્સ ઓફ ટેકનોલોજી રૂટનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય નવા 5 રૂટમાં સ્ટેડિયમથી વાસણા, મણિનગર, ઓઢવ, નારોલ અને ઉજાલા સર્કલ સુધીની બસો સામેલ છે. આ રૂટ પર એક ટિકિટ 20 રૂપિયાની પડશે.
મેટ્રો પણ મોડી રાત સુધી ચાલશે
અમદાવાદ મેટ્રો ઘણા પ્રસંગોએ મોડે સુધી ચાલુ રાખવામાં આવે છે, ત્યારે આજે પણ મેટ્રો મોડે સુધી ચાલુ રહેશે. આજે મેચ હોવાને કારણે મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો મેચ જોવા જશે. ત્યારે મેટ્રો રાત્રે 10 વાગ્યાને બદલે 12 વાગ્યા સુધી ચલાવવામાં આવશે. રાતે 12 વાગ્યા સુધી મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી મેટ્રો ચાલુ રહેશે.