દશકાઓ જુની માંગણીઓ સંતોષાતા લોકોમાં આવકાર
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાના પ્રયાસોનું પરિણામ – ત્રણ માસમાં બે વિમાની સેવાના બાદ હવે બે નવી ટ્રેન : સૌરાષ્ટ્રના વિકાસને નવું બળ મળશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ભારતીય રેલવે દ્વારા પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ અને સુધારણા માટે તાજેતરમાં ગત ઓગસ્ટમાં બે પેસેન્જર ટ્રેનની જાહેરાત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી હતી. પોરબંદરના સાંસદ ડો. માંડવિયાના સંનિષ્ઠ પ્રયાસો અને ભારત સરકારના ઝડપી નિર્ણયના પરીણામે આગામી 14મી નવેમ્બરથી એક સાથે આ બે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એક સાથે ચાર જિલ્લાના યતાયાતની આ સુવિધા સૌરાષ્ટ્રના વિકાસના અનેક નવા દ્વાર ખોલશે. અને લાખો મુસાફરોને મોટી રાહત મળશે. રાજકોટ-પોરબંદર-રાજકોટ વાયા જેતલસર જંક્શન રેલવે રૂટની મંજૂર થયેલી બે ટ્રેન પૈકી એક ટ્રેન ડેઇલી ચાલશે જ્યારે અન્ય એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ શરૂ રહેશે. 14મીએ નવી પ્રારંભ થઇ રહેલી ટ્રેનને લીલી ઝંડી આપી કેન્દ્રિય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયા, વિવિધ વિસ્તારના ધારાસભ્યઓ સહિતના અગ્રણીઓ મુસાફરી પણ કરશે.
- Advertisement -
વિકસિત સૌરાષ્ટ્ર માટે પરિવહન અને કનેક્ટિવિટી અગત્યની: ડો. મનસુખ માંડવિયા
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં રેલ સેવામાં વધારો એટલે પ્રવાસીઓની સુવિધામાં વધારો અને કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહન સુવિધાનો વિકાસ અનિવાર્ય છે. રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર વચ્ચે ઉભી થતી આ નવી સુવિધાઓ માત્ર મુસાફરો માટે નહિ પરંતુ વ્યાપાર, વાણિજય અને પ્રવાસન ક્ષેત્ર માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે, – એમ ડો. માંડવિયાએ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે આ વિસ્તારના લોકો માટે આવનજાવન વધુ સુગમ અને આરામદાયક બનશે. વિકસિત ભારત સાથે જ વિકસિત પોરબંદર, વિકસિત રાજકોટ, વિકસિત દ્વારકા અને વિકસિત જામનગરનું સ્વપ્ન હવે સાકાર થવાની દિશામાં છે.
સાંસદનું ઠેરઠેર સ્વાગત કરાશે- ટ્રેનમાં બેસીને પોરબંદર સુધી મુસાફરી કરશે કેન્દ્રીય મંત્રી
14મી નવેમ્બરે શરૂ થતી નવી ટ્રેનોમાં ડો. માંડવિયા પોતે પણ મુસાફરી કરશે. રાજકોટથી પોરબંદર સુધીના માર્ગમાં વિવિધ રેલવે સ્ટેશનો પર તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન યોજાશે. તાજેતરમાં જ પોતાના મતવિસ્તારમાં બે નવી વિમાની સેવાઓ શરૂ કરાવ્યા બાદ હવે બે ટ્રેનના પ્રારંભથી લોકોમાં ઉત્સાહની લહેર છે. અત્યાર સુધી રાજકોટ-પોરબંદર રૂટ પર માત્ર એક જ ટ્રેન દોડતી હતી, જ્યારે હવે રોજ ત્રણ ટ્રેનોની સેવા ઉપલબ્ધ થશે. સ્થાનિક નાગરિકો અને વેપારીઓએ જણાવ્યું કે આ નિર્ણયથી વ્યવસાયિક જોડાણ, પ્રવાસન તેમજ રોજિંદી યાતાયાતમાં મોટો ફેરફાર આવશે. ‘પોરબંદરનો જમાનો ફરી આવશે’ – ડો. માંડવિયાએ કહેલું હવે સાકાર થઈ રહ્યું છે, એમ સ્થાનિક સામાજિક અગ્રણીએ ખુશી વ્યક્ત કરી હતી.



