અડાલજ ખાતેથી વડાપ્રધાનન હસ્તે ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ 1.5 લાખ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવશે.
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.19 ઓક્ટોબરથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે આ બે દિવસમાં પીએમ મોદી ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારા ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં વડાપ્રધાનના હસ્તે અંદાજે રૂ. 15,670 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં પીએમ મોદીના હસ્તે ડિફેન્સ એક્સપો-22નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદાનગર કન્વેન્શન સેન્ટર, અડાલજ, ગાંધીનગર ખાતેથી ગુજરાત માટે દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો શુભારંભ કરાવ્યો છે.
- Advertisement -
મિશન હેઠળ 1.5 લાખ સ્માર્ટ ક્લાસ બનાવવાશે
મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ હેઠળ સરકારી શાળાઓને વિશ્વ સ્તરીય ભૌતિક અને ડિજિટલ માળખાગત સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ વિશે વિગતવાર માહિતી આપતા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ 1.5 લાખ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવશે. સરકારી શાળાઓમાં 20 હજાર કમ્પ્યુટર લેબ ઊભી કરવામાં આવશે.
આંગણવાડીઓને પણ આ શાળાઓ સાથે જોડવામાં આવશે
તેમણે જણાવ્યું હતું કે, મિશન હેઠળ 5 હજાર અટલ ટિંકરિંગ લેબ્સ બનાવાશે. 15 હજાર શાળામાં 30 હજાર સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા ગામની આંગણવાડીઓ અને બાલવાટિકાઓને પણ આ શાળાઓ સાથે જોડવામાં આવશે, જેથી કરીને નિપુણ ભારત અંતર્ગત પાયાનું શિક્ષણ પણ મજબૂત થશે. રૂ. 5,567 કરોડના શાળાના માળખાકીય કામોની અમલવારી તબક્કાવાર થશે.
7000 શાળામાં 8000 વર્ગખંડો અને 20,000 અન્ય સુવિધાઓના કાર્યો પ્રગતિ હેઠળઃ વાઘાણી
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, હાલમાં, કુલ રૂ.1650 કરોડના ખર્ચે 7000 શાળામાં 8000 વર્ગખંડો અને 20,000 અન્ય સુવિધાઓના કાર્યો પ્રગતિ હેઠળ છે. વધુમાં, કુલ રૂ. 2881 કરોડથી વધુના ખર્ચે 4000થી વધુ શાળાઓમાં કુલ 13,500 વર્ગખંડો તેમજ અન્ય સંકુલો જેમકે છાત્રાલય, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વગેરે કાર્યોનો આરંભ ટૂંક સમયમાં થશે. ઉપરોક્ત પૈકી, આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં 12,564 વર્ગખંડોના નિર્માણ માટે 3,991 શાળાઓ માટે માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરવામાં આવી રહ્યા
છે. તેમાંથી 1,386 શાળાઓમાં 4,340 વર્ગખંડોના નિર્માણ માટે રૂ. 700 કરોડના કાર્યો આરંભ કરવામાં આવ્યા છે.
- Advertisement -
રૂ. 350 કરોડ રૂપિયાથી વધુના કામો પણ ટૂંક સમયમાં આરંભાશેઃ શિક્ષણ મંત્રી
જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે, 23,000થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ સહિત 11,000થી વધુ શાળાઓમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે રૂ. 286 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. વધુમાં, 90,000થી વધુ કમ્પ્યુટર્સ સાથે 6,000થી વધુ કોમ્પ્યુટર લેબ પ્રદાન કરવા માટે રૂ. 375 કરોડથી વધુના કામો પ્રગતિ હેઠળ છે. તેમજ 15,000થી વધુ શાળાઓમાં 30,000 સ્માર્ટ ક્લાસરૂમ પ્રદાન કરવા રૂ. 350 કરોડ રૂપિયાથી વધુના કામો પણ ટૂંક સમયમાં આરંભાશે. અન્ય પહેલો હેઠળ શિક્ષક અને મુખ્ય શિક્ષકની જગ્યાઓ ભરવા, વિશિષ્ટ વિષય શિક્ષકોની જોગવાઈ, શિક્ષક ભરતીના નિયમોમાં સુધારણા, શિક્ષક તાલીમ અને પુરસ્કાર કાર્યક્રમો, બાળકો માટે પ્રી-સ્કુલ શિક્ષણ, અને ઉપચારાત્મક શિક્ષણ સાથે એક્સેલેન્સ અભ્યાસક્રમ જેવા વહીવટી પ્રકલ્પો દ્વારા પૂરક બનાવાશે. અપેક્ષા રાખવામાં આવે છે કે આ પ્રયાસો દરેક વિદ્યાર્થીઓ માટે યોગ્ય શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તામાં વૃદ્ધિ માટે ધોરણ દીઠ એક શિક્ષક અને એક વર્ગખંડ પ્રદાન કરવામાં આવશે.
તેમણે ઉમેર્યુ હતું કે, શિક્ષકો માટેની નવી ટ્રાન્સફર પોલિસીમાં જોગવાઈ કરવામાં આવી છે કે સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ આવતી શાળાઓ માટે મુખ્ય શિક્ષકો અને શિક્ષકોની તમામ ખાલી જગ્યાઓ અગ્રતાના ધોરણે ભરવામાં આવશે. આ મિશનમાં ટેક્નોલોજી મુખ્ય ભૂમિકા ભજવશે જેમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઓનલાઈન હાજરી, ઓનલાઈન ડેટા એનાલિટિક્સ-આધારિત મેનેજમેન્ટ, ડિજિટલ લર્નિંગ,એડમીનીસ્ટ્રેટીવ ટેક્નોલોજીનો ઉપયોગ, સિવિલ વર્ક વગેરેનું રીઅલ ટાઇમ મોનીટરીંગ થશે.