જૂનાગઢ ભવનાથ મંદિર મહંત પદનો વિવાદ વધુ વકર્યો
રાજુગિરિ ગુરુ કમલાનંદગિરિએ તંત્ર સામે ઉચ્ચારી ચીમકી
- Advertisement -
હરિગિરિ બાપુ સામે એક પછી એક સંત વિરોધમાં ઉતર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
ગિરનાર પર્વતના તળેટી ભાગમાં આવેલું ભવનાથ મહાદેવ મંદિર, માત્ર ધાર્મિક ક્ષેત્રે નહીં પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિએ પણ ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે. આ પાવન ધામમાં ભક્તોની ગાઢ આસ્થા જોડાયેલી છે, ખાસ કરીને મહાશિવરાત્રિના મેળામાં તો લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે પહોંચે છે. પણ આ ધર્મસ્થળ વારંવાર વિવાદના ભમરામાં ફસાતું આવ્યું છે ખાસ કરીને ભવનાથ મંદિરના મહંતના પદને લઈને ફરી વિવાદ શરુ થયો છે.
ભવનાથ મંદિરની વ્યવસ્થા અને સંચાલન માટે મહંત પદ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સામાન્ય રીતે, ગુરુ શિષ્ય પરંપરા મુજબ નવા મહંતના પદની નિયુક્તિ જિલ્લા કલેકટર દ્વારા પસંદગી કરવામાં આવે છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ પદને લઈને વિવાદો ઊભા થતા રહ્યા છે. હાલમાં ચાલી રહેલો વિવાદ પણ એવી જ એક કડી છે. હાલના મહંત હરીગિરિ બાપુની અવધિ તારીખ 31 જુલાઈ 2025ના પૂર્ણ થઇ રહી છે. ત્યારે મંદિરના મહંત પદની ફરી નવી નિમણૂક માટે માહોલ ગરમાયો છે.
- Advertisement -
અગાઉ બે સંતોએ કલેકટરને લેખીત જાણ કરીને ભવનાથ મહંતની નિમણૂક ગુરુ પરંપરા અનુસાર થવી જોઈએ તેવી માંગ સાથે ધારદાર રજૂઆત કરી ચુક્યા છે અને તેમાં બહારથી હસ્તક્ષેપ ન થવો જોઈએ. તેમનો આક્ષેપ છે કે ગુરુ-શિષ્ય પરંપરાને પાયમૂળથી અવગણીને અજાણ્યા અથવા રાજકીય આશીર્વાદ ધરાવતા વ્યકિતને પદ પર લાવવા પ્રયાસ થઈ રહ્યો છે. જેને લઈને વધુ એક સાધુ મેદાનમાં ઉતર્યા છે. રાજુગીરી ગુરુ કમલા નંદગિરિ મિયા ગામ કરજરથી રાજુ ગિરિ બાપુએ હરીગિરિ બાપુના મહંતાઈ સામે સવાલો ઉઠાવી અને હરીગીરી બાપુને આ વખતે મહંત પદે ન બેસાડવા તંત્રને અપીલ કરી છે અન્યથા જો ફરી હરીગીરીબાપુ પૈસાના જોરે ફરીવાર મહંત બનશે તો અમો ભવનાથ પરિવારના સંતો ભવનાથ મંદિર પાસે આમરણાંત ઉપવાસ ઉપર બેસસુ અને તેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
ગિરીનાર પર્વતનું આ પવિત્ર તીર્થ સમૃદ્ધ પરંપરા ધરાવે છે, જ્યાં તપસ્વી સાધુઓ અને સંતોએ યોગસાધના કરી છે. ભવનાથનું મહંત પદ માત્ર ધાર્મિક નહિ, પરંતુ સામાજિક અને સંસ્થાકીય દૃષ્ટિએ પણ મહત્વ ધરાવે છે. તેથી તેનો દુરુપયોગ કે અસ્વચ્છ નિયુક્તિ ધર્મસ્થળ માટે અશુભ છે. ભક્તો અને ગ્રામજનોની માંગ છે કે મહંત પદ માટે ગુરુ પરંપરા મુજબ યોગ્ય વ્યક્તિની નિમણૂક થાય, જે ધર્મ અને દશાનામ પરંપરાનું સાચું પાલન કરે અને ભક્તોની સેવા અને મંદિરના વિકાસ માટે કાર્યરત રહે તે યોગ્ય છે. ત્યારે હવે નજર રહેશે કે જિલ્લા પ્રશાસન અને મંદિર મહંત પદ મામલે કઈ રીતે પડકારને હલ કરે છે અને ભવનાથની પવિત્રતા અને પરંપરા જળવાઈ રહે છે કે કેમ તે જોવાનું રહ્યું.



