મોરબી હોનારત કોઈ અકસ્માત નથી, બેદરકારી અને ભ્રષ્ટાચારમાંથી સર્જાયેલો હત્યાકાંડ છે…
મોરબી ઝૂલતા પુલ હોનારતમાં આશરે 150 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, અંદાજીત 200 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અત્યંત દુ:ખ સાથે અસહ્ય ચોંકવનારી બાબત એ છે કે, આજે ત્રણ-ત્રણ દિવસ બાદ પણ હજુ સુધી સમગ્ર ઘટનાક્રમનો મુખ્ય માસ્ટરમાઈન્ડ જયસુખ પટેલ સહપરિવાર ફરાર છે, તે અને તેમની ઓરેવા કંપનીના જવાબદાર વ્યક્તિઓ મૌન છે. ઝૂલતા પુલ દુર્ઘટનાની એફ.આઈ.આર.માંથી જયસુખ પટેલ અને ઓરેવા કંપનીનું નામ ગાયબ છે, ઓરેવા કંપનીના જયસુખ પટેલને તંત્ર-સરકાર દ્વારા બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ દર્શાઈ આવે છે. મોરબી ઝૂલતા હોનારતમાં હતભાગી બનેલાઓની આત્માની શાંતિ માટે જયસુખ પટેલને સજા થવી જરૂરી છે. જો મોરબી ઝૂલતા પુલના જઘન્ય સામૂહિક હત્યાકાંડના એકમાત્ર – મુખ્ય આરોપી જયસુખ પટેલને આજીવન કેદ ન થાય તો ન્યાય અધૂરો ગણાશે. મોરબી હોનારતમાં ઓરેવા કંપની અને તેના માલિક જયસુખ પટેલની સૌથી મોટી ગંભીર બેદરકારી બહાર આવી છે. નિર્દોષોની હત્યાનું પાપ ઓરેવા કંપની અને તેના માલિક જયસુખ પટેલ પર છે કારણ કે ઓરેવાના જયસુખ પટેલના પોકળ દાવાઓએ હોનારત સર્જી છે.
- Advertisement -
ઓરેવાનાં જયસુખ પટેલને બચાવવાના ચોખ્ખા પ્રયાસ, નિર્દોષ પર દોષનો ટોપલો ઢોળાયો
શું ભાજપ એક વ્યક્તિને બચાવવા મોરબી અને આસપાસના વિસ્તારની સીટ ગુમાવશે?
મોરબી ઝૂલતા પુલની હોનારતમાં પ્રથમ દૃષ્ટિએ જેને દંડ થવો જોઈએ તેવા જયસુખ પટેલને તંત્ર-સરકાર દ્વારા છાવરવામાં આવી રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે. જયસુખ પટેલ પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભરોસાની ભાજપ સરકાર પર મોરબી અને આસપાસના વિસ્તારના લોકો સહિત સૌનો ભરોસો અકબંધ રહે તે માટે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ઓરેવાના જયસુખ પટેલ પર કડક કાર્યવાહી થવી જોઈએ પરંતુ અત્યાર સુધી માત્ર જયસુખ પટેલને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા હોય હાલ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, શું ભાજપ એક વ્યક્તિને બચાવવા મોરબી અને આસપાસના વિસ્તારની સીટો ગુમાવશે? જો જયસુખ પટેલને કડક સજા નહીં કરવામાં આવે તો મોરબી, માળિયા અને આસપાસના વિસ્તારોની બેઠકના મતદારો ભાજપનો હાલ પણ ઝૂલતા પુલ જેવો કરશે એવું જણાય આવે છે.
જયસુખ પટેલની પબ્લિસિટીની લાલચે મોરબીમાં માતમનો માહોલ સર્જી દીધો
- Advertisement -
જયસુખ પટેલની ઉતાવળે ઝૂલતો પુલ શરૂ કરવાની ઘોર બેદરકારીએ મોતનું તાંડવ સર્જ્યું છે. જયસુખ પટેલની કમાણીની લાલચે મોરબીમાં માતમનો માહોલ સર્જ્યો છે. ઝૂલતા પુલને માણવાની મજા મોતની સજા બની છે. મચ્છુનો તટ આ ભ્રષ્ટાચારીના પાપે કબ્રસ્તાન બન્યો છે, મોરબી ઝૂલતા પુલના તમામ બનાવ પાછળ વ્હાઈટકોલર ક્રિમિનલ જયસુખ પટેલ જવાબદાર છે પરંતુ આ ઘટના બન્યા બાદ પોલીસે જયસુખ પટેલની જગ્યાએ તેની ઓરેવા કંપનીના બે મેનેજર, ટિકિટ કાપનાર, પુલનું પેરિંગ કામ કરનાર પિતા-પુત્ર અને ત્રણ સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે. અત્રે એ ખાસ નોંધનીય છે કે ધરપકડ થયેલી નવેય વ્યક્તિમાંથી કોઈ પાસે પુલને ખુલ્લો મૂકવા માટે પરવાનગી આપવાની સત્તા ન હોય અને આ લોકોએ તો ચિઠ્ઠીના ચાકર બનીને માલિક જયસુખ પટેલના ઈશારે જ પુલને ખુલ્લો મુકવાનું કામ કર્યું છે. આ લોકો સામે ગુનો નોંધાવો જ જોઈએ તે વાતનો ઈનકાર ન હોઈ શકે પરંતુ માલિક જયસુખ પટેલને પણ તેમાં સાથે સામેલ કરવા જ જોઈએ કેમ કે તેમના ઈશારે જ ઝૂલતા પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મોરબી હોનારત એ કોઈ અકસ્માત નથી, બેદરકારીમાંથી સર્જાયેલો હત્યાકાંડ છે અને આ હત્યાકાંડનો મુખ્ય હત્યારો જયસુખ પટેલ છે એ દિવા જેવું સ્પષ્ટ છે. કારણ કે, જયસુખ પટેલે જ ફિટનેસ સર્ટિફિકેટ વગર ઝૂલતો પુલ ખુલ્લો મૂક્યો હતો. તંત્રને જાણ કર્યા વગર જ જયસુખ પટેલે પરિવાર સાથે ઝૂલતા પુલની રિબીન કાપી હતી અને તેમણે જ ઝૂલતા પુલના સમારકામથી લઈ કરેલા પ્રવેશ ટિકિટમાં કરેલા ભ્રષ્ટાચારના કારણે અનેક પરિવારના માળા પિંખાઈ ગયા છે. ઓરેવા કંપના માલિક જયસુખ પટેલ મોરબી હોનારત બાદ બધું સમજી-વિચારી પોતાના પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હજી સુધી તેમનું કે તેમની કંપની ઓરેવાનું કોઈ નિવેદન આવ્યું નથી. કહેવાતા લોકસેવક જયસુખ પટેલની ભાગેડુ વૃત્તિથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2 કરોડ રુપિયામાં બ્રિજનું રિનોવેશન કરનારા જયસુખ પટેલના ભયંકર ભ્રષ્ટાચાર અને ગંભીર બેદરકારીના કારણે આજે માસૂમ લોકોનો ભોગ લેવાયો છે તેથી ઓરેવા કંપનીના જયસુખ પટેલના ભયંકર ભ્રષ્ટાચાર અને ગંભીર બેદરકારીને માફ કરી શકાય તેમ નથી. મોરબી ઝૂલતા પુલ હોનારતના પીડિતોને ન્યાય મળે તે માટે તમામ લોકો એવું ઇચ્છી રહ્યા છે કે, જયસુખ પટેલ પર કાયદાનો કોરડો વીંધવામાં આવે અને તેને કડક સજા થાય.
જયસુખ પટેલ સામે પગલાં ન લેવાતા સરકાર-સિસ્ટમ પ્રત્યે લોકોમાં ભયંકર ખોટો મેસેજ પ્રસર્યો
ઓરેવા ગ્રુપ અને જયસુખ પટેલ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના પાછળ દોષિત હોવા છતાં તંત્ર-સરકાર દ્વારા તેની પર પગલાં ન લેવામાં આવતા લોકોમાં સરકાર-સિસ્ટમ પ્રત્યે ભયંકર ખોટો મેસેજ ગયો છે. સોશિયલ મીડિયાથી લઈ જ્યાં જુઓ ત્યાં સરકાર અને સિસ્ટમની ટિકા થઈ રહી છે. દિપક પારેખ જેવી નાની માછલીઓ પકડીને જયસુખ પટેલ જેવા મોટા મગરમચ્છને બચાવવા માગતી સરકાર અને સિસ્ટમ સાથે કાયદા પર લોકોનો ભરોસો જળવાઈ રહે તે માટે ઓરેવા – જયસુખ પટેલને જેલના સળિયા ગણતો કરવો જરૂરી છે.
જયસુખ પટેલનું મગજ વાહિયાત વિચારોનું કારખાનું, તેમની વાણીમાં માત્ર વાયદાઓ જ
જયસુખ પટેલ એક સનકી પ્રકારનો વ્યક્તિ છે. અભી બોલા અભી ફોક જેવી તેની વાતો હોય છે. જયસુખ પટેલે પોતાના પિતાના નામ-કામ પર આજીવન ચરી ખાધું છે. જીવનભર મોટીમોટી બડાશ મારવા પંકાયેલા જયસુખ પટેલનું મગજ વાહિયાત વિચારોનું કારખાનું છે તો જયસુખ પટેલની વાણીમાં માત્ર વાયદાઓ જ છે. જયસુખ પટેલના સંપર્કમાં આવેલા તેના પરિચિતો જાણે જ છે કે, જયસુખ પટેલ એટલે જેનો ક્યારેય જય પણ થયો નથી અને જેની પાસેથી ક્યારેય સુખ પણ ન મળે એવી નકામી વ્યક્તિ.
રણ સરોવર એટલે જયસુખ પટેલની કપોળ કલ્પિત બોગસ યોજના
ખાસ-ખબર સંવાદદાતા
કચ્છના નાના રણનો વિસ્તાર આશરે 5000 ચોરસ કિલોમીટરનો છે. સુરેન્દ્રનગરની સીમાઓ સાથે જોડાયેલા આ નાના રણમાં પાંચ હજારથી વધુ ઘુડખર પણ વસવાટ કરે છે. આ એક પ્રાકૃતિક સંપદા છે. કુદરતની અમૂલ્ય બક્ષિસ છે. અહીં અક્કલનાં ઓથમિર એવા ઓરેવાના જયસુખ પટેલને આખોય રણ વિસ્તાર ખોદીને તેમાં વરસાદનું પાણી ભેગું કરી મીઠા પાણીનું સરોવર બનાવવું હતું. એટલું જ નહીં, 5 હજાર જેટલા ઘુડખરનું પણ સ્થળાંતર કરવું હતું. જયસુખ પટેલની આ વાતમાં કોઈ વૈજ્ઞાનિક તર્ક કે અભ્યાસ નહતો, પણ માત્ર ધારણાઓ હતી. રણ-સરોવર સંદર્ભે આગળ વધતાં પહેલાં આ વિસ્તારના લોકો અને રણને સમજનાર તજજ્ઞોની કોઠાસૂઝ, તર્ક, અને અનુભવને ધ્યાને લઈએ તો ખ્યાલ આવે કે, જયસુખ પટેલની રણ સરોવરની યોજના કપોળ કલ્પિત બોગસ હતી. જયસુખ પટેલના સનકી મગજની ઉપજ રણ સરોવર યોજના પાછળ માત્ર રણ જ નહીં, ઘુડખરનો પણ ભોગ લેવાઈ જતો. આ યોજના પાછળ જયસુખ પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકારના નેતાઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની સમય, શક્તિ અને સંપત્તિનો પણ વ્યય કર્યો હતો.
જયસુખ પટેલને વાંકાનેર પાસે હિલસ્ટેશન બનાવવું હતું!
ઓરેવાના એમડી જયસુખ પટેલને પોતાના બાપદાદાના ધંધા સિવાયના બીજા તમામ ધંધાઓમાં રસ છે. ખુદને સર્વ ગુણ સંપન્ન તથા જગતભરના સર્વોત્તમ જાણકાર સમજતા જયસુખ પટેલનો રણ સરોવર બાદનો વધુ એક વાહિયાત વિચાર એટલે વાંકાનેર પાસેની ટેકરીઓ પર હિલસ્ટેશનનું નિર્માણ કરવું! આર્ટિફિશિયલ ટુરિસ્ટસ્પોટ! જયસુખ પટેલને વાંકાનેર પાસે આવેલી ટેકરીઓ પર આર્ટિફિશિયલ ડેમ-તળાવ સાથેનું હિલસ્ટેશન બનાવવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમણે પેમ્પ્ફલેટ પણ છપાવ્યા હતા અને બધી જ તૈયારીઓ કરી લીધી હતી. જોકે કોઈ સમજદાર વ્યક્તિએ જયસુખ પટેલને વાસ્તવિક સમજતા ખ્યાલ આવ્યો હતો કે, જ્યાં બારેમાસ તાપ, તડકો, ગરમી રહેતી હોય ત્યાં હિલસ્ટેશન બનાવવું શક્ય જ નથી. કોઈ સરકાર પણ આ વાહિયાત વિચારને વાસ્તવિક બનાવવા માટે મંજૂરી આપી ન શકે. પાછળથી જયસુખ પટેલને પણ પોતાના અક્કલનાં ખરા દર્શન થતા તેમણે વાંકાનેર પાસે આવેલી ટેકરીઓ પર હિલસ્ટેશન બનાવવાનો વિચાર પડતો મૂક્યો હતો.
એક નહીં, અગિયાર પત્રકાર પણ જયસુખ પટેલના જુઠ્ઠાણાથી પીડિત
થોડા વર્ષો પહેલા આદતવશ જયસુખ પટેલને શું સૂજ્યું કે તેણે એક પત્રકારને કહ્યું કે, તમે તમારા ઉપરાંત બીજા દસ પત્રકાર તૈયાર કરો અને ચાઈના જાઓ. ચાઈનાના પ્રવાસ દરમિયાન ત્યાંની પ્રગતિ જૂઓ અને અહીં આવી તે વિશે જણાવો. ચાઈના પ્રવાસ પર જનારા તમારા સહિતના અગિયાર પત્રકારોનો આવક-જાવકથી લઈ તમામ ખર્ચ ઓરેવા કંપની જયસુખ પટેલ ભોગવશે. જયસુખ પટેલની વાત પર અગિયાર જેટલા પત્રકારો ચાઈના જવા રજાઓ કાઢી તૈયાર થયા, અમૂકે પાસપોર્ટ કઢાવ્યા અને પહોંચી ગયા જયસુખ પટેલ પાસે. અફસોસ કાયમ માટે પોતાના શબ્દો પર કાયમ ન રહેનારા જયસુખ પટેલે અગિયારે અગિયાર પત્રકારોને કહી આપ્યું કે, હવે ચાઈના નથી જવું. અને આમ, એક નહીં અગિયાર પત્રકારો આજ સુધી જયસુખ પટેલના આ ગંદા જુઠ્ઠાણાથી પીડાઈ રહ્યા છે. જયસુખ પટેલની મજાક ભૂલી શક્યા નથી.