ખેડૂતોને દાણાદાર યુરિયાનાં બદલે નેનો યુરિયા ઉપયોગ કરવા મંત્રી કુંવરજી બાવળીયાની ભલામણ
વિધાનસભા ગૃહમાં યુરિયા ખાતરનો મુદ્દો ઉછળ્યો
- Advertisement -
આજે તા. 21 ઓગસ્ટથી ગાંધીનગર વિધાનસભાનાં ચોમાસુ સત્રની શરૂઆત થવા પામી છે. બપોરનાં 12 વાગ્યાથી સત્ર શરૂ થવા પામ્યું હતું. તેમજ ટૂંકી મુદ્દતનાં પ્રશ્ર્નો સાથે બેઠક શરૂ કરવામાં આવી હતી. ગૃહમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાનાં પ્રશ્ર્ન પર મંત્રી કુંવરજી બાવળીયાએ જવાબ આપ્યો હતો. જેમાં યુરીયા ખાતરમાં ફરજ પાડનારા સામે કાર્યવાહી કરીશું. તેમજ યુરીયા સાથે બીજું ખાતર લેવાની ફરજ પાડશે તો લાયસન્સ રદ્દ સુધીની કાર્યવાહી થશે. તેમજ કેન્દ્ર સરકારે રાજ્યની જરૂરીયાત કરતા વધુ યુરીયાનો જથ્થો ફાળવ્યો છે. યુરીયાનો જથ્થો વિક્રેતાની સાથે સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતને અપાય છે. 9 હજાર જેટલી મંડળીઓ દ્વારા યુરીયા ખાતર અપાય છે. રાજ્યના ખેડૂતોને દાણાદાર યુરિયાના બદલે નેનો યુરિયાનો ઉપયોગ કરવાની ભલામણ કરતા કૃષિ મંત્રી રાઘવ પટેલે જણાવ્યું હતું કે, નેનો યુરિયાની 500 મિ.લી.ની એક બોટલ, 45 કિ.ગ્રા. દાણાદાર યુરિયાની એક થેલીની ગરજ સારે છે. સાથે જ નેનો યુરીયાની કાર્યક્ષમતા પણ દાણાદાર યુરીયા કરતા 90 ટકાથી વધારે છે.
દાણાદાર યુરીયા ખેતરમાં નાખવામાં આવે છે ત્યારે, માત્ર 20 થી 30 ટકા ખાતરનો જ નાઈટ્રોજન સ્વરૂપમાં ઉપયોગ થાય છે. જ્યારે, બાકીનું યુરીયા ખાતરનો વ્યય થાય છે. ખાતરનો વ્યય અટકાવીને જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે નેનો યુરિયા શ્રેષ્ઠ વિકલ્પ છે. કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતો દાણાદાર યુરિયાના સ્થાને નેનો યુરીયાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે આ વર્ષે નવી પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેકટર વધુમાં વધુ રૂ. 750ની મર્યાદામાં સીધી ખરીદ કિંમત પર સહાય આપવામાં આવશે. વર્ષ 2024-25 દરમિયાન આ યોજના અંતર્ગત 45 લાખ નેનો યુરીયાની બોટલ પર સહાય આપવામાં આવશે. નેનો યુરીયાના વપરાશને પ્રોત્સાહિત કરતી આ યોજના માટે અંદાજપત્રમાં રૂ. 45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.