ફિલ્મ મેકર્સે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી…
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતી ફિલ્મ પ્રેમ પ્રકરણનાં ડાયરેક્ટર સહિતનાં કલાકારોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી પોતાની ફિલ્મ તમામ થિયેટરોમાંથી પાછી ખેંચી લીધાની જાહેરાત કરી છે. જે અક્ષરશ: નીચે મુજબ છે.
મારા વ્હાલા ગુજરાતી ભાઈઓ અને બહેનો,
મને બધા એકજ સવાલ પૂછી રહ્યા છે કે મારી સિનેમા ઘરોમાં ચાલી રહેલી ફિલ્મ “પ્રેમ પ્રકરણ ” કે જેને આપસહુનો આટલો અઢળક પ્રેમ મળી રહ્યો હતો તે અચાનક પાછી ખેંચી લેવાનો નિર્ણય મેં કેમ કર્યો? તો સૌથી પેહલા એક વાત કહેવા માંગુ છું કે, આ પૂર્ણવિરામ નથી પરંતુ અલ્પવિરામ છે, અને બહુ જલ્દી મારા વ્હાલા પ્રેક્ષકો માટે અમે “પ્રેમ પ્રકરણ” ને ફરીથી સિનેમાઘરોમાં લઇને આવીશું ..
- Advertisement -
હવે આપ સહુના પ્રશ્ર્નોના જવાબ
ગઈકાલે રાતે થિયેટર વિઝીટ દરમિયાન મારી ફિલ્મ જે સ્ક્રીનમાં ચાલી રહી હતી ત્યાં દર્શકોની તાળીઓ અને દર્શકોનો અનહદ પ્રેમ વરસી રહ્યો હતો, હું બહાર ઊભો હતો અને મારી બાજુની સ્ક્રીન પર કશ્મીર ફાઈલ ચાલી રહી હતી, મેં દરવાજો ખોલી અંદર ડોકિયું કર્યું અને થોડીવાર ત્યાં ઊભો રહ્યો અને ત્યાં મે જે કંઈ જોયું, તેને મારા અંતર મનને જંજોડીને રાખી દીધું, દર્શકોની આખમાં આંસુ અને કાશ્મીરી પંડિતોની દર્દ ભરી ચીસોએ મને આખી રાત ઊંઘવા ન દીધો. એક ભારતીય તરીકે મારા હૃદયમાં અજંપો ભરાઈ ગયો અને એક ફિલ્મ મેકર તરીકે મને વિવેક અગ્નિહોત્રી માટે અનહદ સન્માન થયું. કે જેમણે વર્ષોથી દબાયેલી કાશ્મીરી પંડિતોની વ્યથાને સિનેમાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી. આજે સવારે જ હું થિયેટરમાં કાશ્મીર ફાઈલ જોવા પહોંચી ગયો, ગઈકાલ રાતનો ઉચાટ અને અજંપો આંસુઓમાં પરિવર્તિત થયો. ખૂબ રડ્યો અને મારું મન હળવું કર્યું , ત્યારબાદ આજનો આખો દિવસ મારી અંદર એક મનોમંથન ચાલ્યું કે મેં શું જોયું? શું કાશ્મીર ફાઈલ્સ માત્ર એક ફિલ્મ છે?
મને જવાબ મળ્યો “ના”
આ માત્ર એક ફિલ્મ નથી પરંતુ એક ચળવળ છે, જેમાં હું કઈ રીતે સહભાગી થઇ શકું?
મારા આ પ્રશ્નનો જવાબ મળ્યો, મને આપણા સહુના લાડીલા નરેન્દ્ર મોદી સાહેબના જીવન જરમરમાંથી
એક એવા રાજકીય વ્યક્તિ કે જે આજીવન સત્ય માટે, ન્યાય માટે, સમાનતા માટે અને ભૂતકાળમાં આ દેશ સાથે થયેલા ઘોર અન્યાય અને ઐતિહાસિક ભૂલોને સુધારવા માટે લડતા રહ્યા, જજુમતા રહ્યા. અને ક્યારેય પણ હાર માન્યા વિના હંમેશા હિંમતસભર નિર્ણયો લેતા રહ્યા, અને આજે પણ લઈ રહ્યા છે. મને તેમનામાંથી પ્રેરણા મળી કે આ સમય મારી ફિલ્મ “પ્રેમ પ્રકરણ” ને દર્શકો તરફથી મળી રહેલ પ્રેમ અને આવકારને માણવાનો નથી, પરંતુ કાશ્મીરી પંડિતોની વ્યથામાં ભાગીદાર થવાનો છે.
અને બસ મારા મનમાં બધુજ સાફ થઈ ગયું.
હિંમત આવી ગઈ કે મારી ફિલ્મને હાલ પૂરતી સિનેમાઘરોમાંથી ઉતારી લઈ તો જે લોકો કાશ્મીર ફાઈલ જોવા માટે રાહ જોવે છે તેમને જગ્યા મળી જશે. ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે આ ચળવળ ભાગીદાર થઇ શકીશ.
- Advertisement -
અને યાર આપણે ગુજરાતીઓ જો રાષ્ટ્રહીત ખાતર આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી મોદી સાહેબને દિલ્હી મોકલી શકતા હોઈએ તો થોડા દિવસ માટે શું આપણી ફિલ્મને સિનેમાઘરોમાંથી ન ઉતારી શકીએ?
મોદી સાહેબે સૌથી પહેલા કાશ્મીરી પંડિતોની પીડા માટે અવાજ બુલંદ કર્યો હતો અને આજે એ અવાજ એક યજ્ઞ બની ચૂક્યો છે, તો ચાલો આપણે સહુ પણ તેના ભાગીદાર થઈએ, કાશ્મીરી પંડિતોની વ્યથાને દુનિયાના ખૂણે-ખૂણે પહોંચાડીએ.
“પ્રેમ પ્રકરણ” ને આપણે થોડા સમય બાદ માણીશું અને ઉજવી પણ લઈશું. અસ્તુ..
ચંદ્રેશ ભટ્ટ, સંજય ભટ્ટ, વૈશલ શાહ, વંદન શાહ, બીજોય પટેલ અને સમગ્ર પ્રેમ પ્રકરણ પરિવાર તરફથી વંદે માતરમ.
જય જય ગરવી ગુજરાત.
ભારત માતા કી જય.


