સ્કીમ શરૂ થતાં ડિસ્કાઉન્ટ મેળવવા લોકોએ વેરો ભર્યો: તિજોરી છલકાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર ચૂંટણીમાં પડ્યું હતું તે સમયે કરદાતાઓએ મનપાની તિજોરી છલકાવી દીધી છે. માત્ર એક જ મહિનામાં 100 કરોડ રૂપિયાની મિલકત વેરાની આવક થઈ છે.
મનપાએ 8 એપ્રિલથી એડવાન્સ વેરા વળતરની શરૂૂઆત કરી હતી જેમાં ચાલુ વર્ષનો વેરો ભરનારા મિલકતધારકોને 10 ટકા ડિસ્કાઉન્ટ મળે છે જો મહિલા મિલકતધારક હોય તો વધારાના 5 ટકા અને તેમાં પણ ઓનલાઈન ભરે તો 1 ટકા બીજુ વળતર મળે છે. આ કારણે લોકો ડિસ્કાઉન્ટ માટે આ સમયે વેરો ભરવાનો આગ્રહ રાખે છે. જોકે આ વર્ષે સારો પ્રતિસાદ મળ્યો છે. માત્ર એક જ માસમાં 16,444 મિલકત પેટે 103.37 કરોડ રૂપિયાની આવક થઈ છે.
જે પૈકી 68.76 કરોડ રૂપિયા ઓનલાઈન જમા થયા છે એટલે કે લોકો હવે વેરો ભરવા ઓનલાઈન જ આગ્રહ રાખે છે જેથી લાંબી કતારોમાંથી મુક્તિ મળી શકે છે. મનપાને તો જંગી આવક થઈ જ છે સાથે સાથે મિલકતધારકોએ પણ 11 કરોડ રૂપિયાનું ભારે ડિસ્કાઉન્ટ મેળવ્યું છે. બીજી તરફ મિલકતોની આકારણી યોગ્ય રીતે થાય તે માટે મનપાએ જીઓ ટેગિંગનો પ્રોજેક્ટ મૂક્યો હતો જોકે તેમાં કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. તેમાં પણ ઘણી મિલકતોના જીઓ ટેગિંગમાં યોગ્ય કામગીરી ન થતા ફરીથી કામ કરવા આદેશ અપાયો છે.