ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જંકશન પ્લોટ ખાતે શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ (રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ) દ્વારા છેલ્લા 59 વર્ષોથી બાળ સંસ્કાર કેન્દ્ર, ગીતા પ્રચાર, સંસ્કૃત પ્રચાર, સાર્વજનિક વાંચનાલય, રાહત દરે નોટબૂક વિતરણ, નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ, જ્ઞાનયજ્ઞ, બાળમજુરી નાબુદી, વ્યસનમુક્તિ વગેરે સેવા પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે. રાજકોટમાં ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ઈ.સ. 1973માં મનહરલાલજી મહારાજ, સ્વ. પાનાચંદ જાદવજી ખખ્ખર, સ્વ. કેશુભાઈ જોશી, સ્વ. ચંદુભાઈ ભટ્ટ, સ્વ. હરસુતભાઈ રાવલ, આર. એલ. જાની, સ્વ. મગનભાઈ રાવલ, કુંવરજીભાઈ નંદાણી વગેરેના પ્રયાસોથી નિ:શુલ્ક ઉનાળુ છાશ કેન્દ્રનો પ્રારંભ થયો હતો. છેલ્લા 52 વર્ષોથી આ સંસ્થા દ્વારા ઉનાળામાં ધોમધખતા તાપમાં અઢી માસ સુધી છાશ કેન્દ્રનું સંચાલન થાય છે. જેમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના સમાનતાના ધોરણે પ્રતિદિન 200 જેટલા પરિવારોને પરિવાર દીઠ દોઢ લીટર તાજી અને પૌષ્ટિક છાશનું નિ:શુલ્ક વિતરણ થાય છે. આ વર્ષે છાશ કેન્દ્રના 53 (ત્રેપન)માં વર્ષનો રામનવમી તા. 6 એપ્રિલ ને રવિવારે સવારે 9-30 કલાકે શુભારંભ થશે. સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ, જંકશન ગાયકવાડી પ્લોટના વ્યાપારીઓ વગેરે ઉપસ્થિત રહેશે જેઓના હસ્તે છાશ વિતરણનો પ્રારંભ થશે.