નોકરીના પ્રથમ દિવસે જ કાળનો ભેટો: અજાણ્યા વાહનચાલક ફરાર, રોડ પર માથું ધડથી અલગ થતાં મૃતદેહના છૂંદા નીકળી ગયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બાઇકસવાર બે સગા ભાઈઓ સહિત કુલ ત્રણ યુવકોને ફંગોળીને એક અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો. આ કરૂણ અકસ્માતમાં ત્રણેય યુવકનાં ઘટનાસ્થળે જ ગંભીર ઈજા થતાં મોત થયાં છે.
મળતી માહિતી મુજબ, પાટડી તાલુકાના એરવાડા ગામનો સંજય ભાથીભાઈ ઠાકોર નામનો યુવક બેચરાજીની કંપનીમાં કામ કરવા જતો હતો. તેણે પોતાના જ ગામના ટીનાભાઇ નરશીભાઈ દેવીપૂજક અને તેના નાના ભાઈ મયૂર નરશીભાઈ દેવીપૂજકને દિવસના ₹400 લેખે નોકરી પર લગાડ્યા હતા. આ બંને સગા ભાઈઓ માટે આજે નોકરીનો પ્રથમ દિવસ હતો. અત્યારસુધી તેઓ જૂનાં કપડાં લે-વેચનું કામ કરતા હતા. બે ભાઈ સહિત ત્રણેય યુવકો આજે વહેલી સવારે એરવાડાથી બેચરાજી ખાતે નોકરી પર જવા માટે એક જ બાઇક પર નીકળ્યા હતા. આ દરમિયાન નાવિયાણી ગામ પાસે એક અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય યુવકો રોડ પર પટકાતાં માથું ધડથી અલગ થઇ ગયું હતું અને તેમના શરીરના છૂંદા નીકળી ગયા હતા.
અકસ્માતની જાણ થતાં હાઇવે પર લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરતાં દસાડાના પીઆઇ વી.જે. માલવિયા સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પીઆઇ માલવિયાના જણાવ્યા મુજબ, લોકોના કહેવા પ્રમાણે, કોઈ અજાણ્યા ટ્રેલરે બાઇકને ટક્કર મારી હતી. પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલ કયા વાહનની અડફેટે અકસ્માત સર્જાયો એ જાણવા માટે પોલીસ દ્વારા આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ છે.



