બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતાં બાઈક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા, એક ઘાયલ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
સુદામાપુરી પોરબંદરમાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલી સીધી ટક્કરમાં ચાર આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના આજે વહેલી સવારે 5:00 થી 5:40 વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ પર બની હતી. બે મોટરસાયકલ (ૠષ 25 અઋ 0530 અને ૠઉં 25 અઊ 9772) સામસામે ધડાકાભેર અથડાતાં અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા. રસ્તા પર કાચ અને બાઇકના પાટ્સ વિખેરાયા હતા અને બંને બાઇક પણ રસ્તાની બાજુમાં ફંગોળાઇને પડ્યા હતા.
સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ પાંચેય યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ત્રણ યુવાનના શ્ર્વાસ થંભી ગયા હતા. જ્યારે અન્ય એક યુવાને વધુ સારવાર માટે જામનગર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે, રસ્તામાં ખંભાળિયા નજીક તેનું પણ મોત થયું હતું.
અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાન પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં મિલન નારણભાઈ બાદરશાહી (ઉં.વ. 26), દિપેશ નીતિનભાઈ ઢાકેચા (ઉં.વ. 18), વનરાજ મનિષભાઈ ઝાલા (ઉં.વ. 17) અને પિયુષ કિશોરભાઈ લોઢારી (ઉં.વ. 24) (સારવાર માટે હોસ્પિટલ ખસેડતાં રસ્તામાં મોત)નો સમાવેશ થાય છે. તબીબોએ આ ચારેય યુવાનને મૃત જાહેર કરતાં હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
આ અકસ્માતમાં અન્ય એક યુવાન પ્રતિક નિલેશભાઈ જેઠવા (ઉં.વ. 14),રહે. વિરડી પ્લોટ)ને પણ ઈજાઓ પહોંચી છે, જે હાલ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમની હાલત હાલ સ્થિર અને સાધારણ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસકાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ વહેલી સવારના સમયે સર્જાયેલી આ સીધી ટક્કરે અનેક પરિવારોની આશા છીનવી લીધી છે. પોરબંદરના સોની બજાર અને પંચહાટડી જેવા વિસ્તારોમાં આ સમાચાર વહેતા થતા જ શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.



