અંબાલાલની આગાહી: ઉત્તરાયણમાં પતંગો પલળી જશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઉત્તરાયણ નજીક આવતા જ પતંગરસિયાઓને એક જ ચિંતા હોય છે કે પવનની ગતિ કેવી રહેશે? આ ઉત્તરાયણ પર હવે પતંગરસિયાઓ માટે માવઠું પણ ચિંતા વધારે તેવી સ્થિતિ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12 થી 18 જાન્યુઆરી દરમિાયન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરી છે. જો, ઉત્તરાયણ સમયે જ માવઠું થાય તો પતંગરસિયાઓની મોજ પર પાણી ફરી વળી શકે છે. માવઠાની આગાહી સાથે સાથે રાજ્યમાં કડકડતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, જાન્યુઆરી માસના ફક્ત ચાર જ દિવસ ઠંડીમાંથી રાહત મળશે ત્યારબાદ 5 જાન્યુઆરી 2025થી અતિશય ઠંડીનો એક રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે જે 15 જાન્યુઆરી સુધી એટલે કે લગભગ 11 થી 12 દિવસ સુધી ચાલુ રહેશે. જેમાં કેટલાક જિલ્લાઓમાં લાંબા ગાળા સુધી કોલ્ડવેવની પણ સંભાવના છે. આ ઉપરાંત એક જાન્યુઆરીથી છ જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઝાકળની પણ સંભાવના છે. જેથી ખેડૂતો માટે આ એક ચિંતાજનક બાબત થઈ શકે છે. કારણ કે જો ઝાકળવર્ષા વધુ માત્રામાં થાય તો શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરું સહિતના પાકને નુકસાન પહોંચી શકે છે. તેમાં પણ જો ખેડૂતો દ્વારા પાકને પિયત કરવામાં આવ્યું હોય અને ઝાકળવર્ષા થાય તો ઊભો પાક નમી જતો હોય છે અને ભારે નુકસાન વેઠવું પડી શકે છે, તેથી એકથી છ જાન્યુઆરી દરમિયાન આગાહી કરવામાં આવી છે જેથી ખેડૂતો સાવચેત રહી શકે છે. પરંતુ વધુ માત્રામાં આ ઝાંકળવર્ષા રહેશે નહીં ફક્ત કેટલાક ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોમાં ઝાકળ પડી શકે છે.
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરી માસમાં માવઠાની આગાહી વ્યક્ત કરી છે. મહત્ત્વનું છે કે, ડિસેમ્બર માસના છેલ્લા સપ્તાહમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થયું હતું ત્યારે જાન્યુઆરી માસમાં પણ માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી માસમાં ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે. આ ઉપરાંત ભારે પવન, કરા અને માવઠાની પણ શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આગામી 4 થી 8 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીનું મોજું ફરી વળશે જેમાં મુખ્યત્વે પંચમહાલ સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત કચ્છમાં પણ ઠંડીનું પ્રમાણ વધુ રહેશે અને નલિયામાં અત્યાર સુધીમાં નોંધાયેલા લઘુતમ તાપમાન કરતાં પણ ઓછું તાપમાન જઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે જામનગર અને વલસાડમાં પણ ઠંડીનું જોર યાથાવત રહેવાની શક્યતાઓ છે. આ ઉપરાંત રાજકોટ અને જૂનાગઢમાં પણ જાન્યુઆરી માસમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી કરતાં પણ નીચું જઈ શકે છે.
- Advertisement -
ઉત્તર ભારતમાં હિમવર્ષા થયા બાદ ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી પાંચ જાન્યુઆરી 2025થી ઠંડીના રાઉન્ડની શરૂઆત થશે જેમાં પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. હાલમાં ગુજરાત પર ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનોની ગતિ 7 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની છે તથા પવનની દિશા પણ પૂર્વ તરફથી હોવાથી 4 જાન્યુઆરી 2025 સુધી મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે પરંતુ મોટાભાગના જિલ્લાઓનું લઘુતમ તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ લીધે ઉત્તર ભારતના ભાગોમાં આવતીકાલથી હિમવર્ષા થવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવે છે તથા જ્યારે પણ ઉત્તર ભારતમાં હિમવર્ષા થાય તેના 48 થી 72 કલાકમાં ગુજરાત પર ઠંડીનું પ્રમાણ વધતું હોય છે તેથી આગામી 5 જાન્યુઆરીથી ભયંકર ઠંડીની શરૂઆત થશે જે સતત 10 થી 11 દિવસ સુધી ચાલી શકે છે એટલે કે ઉત્તરાયણ સુધી ઠંડીનું જોર વધવાની સંભાવના છે.