કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડો. આંબેડકર મુદ્દે સંસદમાં આપેલા નિવેદન પર રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે આજે ભાજપ અને કોંગ્રેસ બંને આક્રમક મૂડમાં દેખાયા હતા અને જેના દૃશ્યો સંસદના પ્રાંગણમાં જ સામે આવી ગયા હતા. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ધક્કામુક્કી અને રોકા-ટોકીના અહેવાલ સામે આવ્યા.
ભાજપના સાંસદ ઘાયલ થતાં માહોલ બગડ્યો
- Advertisement -
જેમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને ધક્કો વાગતા તે પડી ગયા અને તેમને ઈજા થઇ. જેને લઇને ભાજપે રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા અને તેમના પર આ ધક્કો મારવાનો આરોપ મૂક્યો. ભાજપ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો હતો જે મારી ઉપર પડ્યાં હતા. જેના લીધે હું દબાઈ ગયો. હું પગથિયાં પર ઊભો હતો.’ ઉલ્લેખનીય છે કે કેમેરામાં તેમને થયેલી ઈજાઓ જોઈ શકાય છે. હાલ તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
કોંગ્રેસે આપ્યો વળતો જવાબ
જેની સામે કોંગ્રેસે પણ વળતો પ્રહાર કરતાં આરોપ લગાવ્યાં કે ભાજપના સાંસદોએ અમને સંસદમાં જતાં જ અટકાવી દીધા હતા. ભાજપના સાંસદોએ પ્રિયંકા ગાંધી અને મલ્લિકાઅર્જુન ખડગે સાથે ધક્કામુક્કી કરી હતી. રાહુલે કહ્યું કે, ‘મને પોતે એ લોકોએ ધક્કો માર્યો અને સંસદમાં જતો અટકાવ્યો હતો. ભાજપના સાંસદો અમને ધમકાવી રહ્યા હતા અને ડો. આંબેડકરનું અપમાન કરે છે. આ લોકો કહે છે કંઇ અને કરે છે કંઇ. સંસદમાં જવાનો મારો અધિકાર છે અને તેઓ મારો આ અધિકાર છીનવી રહ્યા હતા.’
- Advertisement -
આંબેડકરજીનું ફરી અપમાન: કેસી વેણુગોપાલ
ડો. આંબેડકર અંગે કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, ‘આખા દેશના લોકો અમિત શાહ અને ભાજપના આ વલણથી દુ:ખી છે. બુધવારે અમે સંસદની અંદર અને બહાર આ મુદ્દો ઊઠાવ્યો હતો. અમે ડો. આંબેડકરની તસવીર બતાવી રહ્યા છીએ, તેમણે તે જગ્યાએ (જ્યોર્જ) સોરોસની તસવીર મૂકી છે. આ સ્પષ્ટપણે આંબેડકરજીનું ફરીથી અપમાન છે.’