ટૂંક સમયમાં લોકાર્પણ થયા બાદ ટ્રાફિક સમસ્યા હળવી થશે : હજારો વાહનચાલકોને લાભ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટનાં ડો. દસ્તુર માર્ગ પર રેલવે અંડરપાસનું કામ મહદઅંશે પૂર્ણ થઈ ચૂક્યું છે. ગત બજેટમાં આ માટેની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં અગાઉ રેલવેને રૂ.2.73 કરોડ ચુકવવામાં આવ્યા હતા. જોકે રિવાઇઝડ એસ્ટીમેટ મુજબ રેલવે દ્વારા વધુ રૂપિયા 1.39 કરોડની માંગ કરવામાં આવતા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત સહિતની પ્રક્રિયા કરી રકમ ચૂકવવામાં આવી હતી. ત્યારબાદ આ કામ ઝડપથી કરવામાં આવતા હવે કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં અંડરપાસ ખુલ્લું મુકવામાં આવે એવી શક્યતા છે. પૂર્વ અને પશ્ચિમ રાજકોટને જોડતો આ વધુ એક રસ્તો ખુલતા ટ્રાફિક સમસ્યા હળવી થશે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં હાલ એસ્ટ્રોન ચોક અને હેમુગઢવી હોલ પાછળ એમ બે અંડરપાસ આવેલા છે. જોકે, બંને સ્થળે ભારે ટ્રાફિક રહેતો હોવાથી મનપાએ ગત બજેટમાં ડો. દસ્તુર માર્ગનાં છેડે વધુ એક અંડરપાસ બનાવવા નિર્ણય કર્યો હતો. આ માટેની તમામ કાર્યવાહી કરી અંદાજે રૂ. 4 કરોડની આ કામગીરી માટે રેલવે વિભાગને 2.73 કરોડ ચૂકવી દીધા હતા. જોકે, રેલવેએ રિવાઇઝડ એસ્ટીમેટ કરીને બાકીની રકમ રૂ. 1.39 કરોડ ભરવાની માંગ કરી હતી. આ રકમ ભરપાઈ નહીં થતા થોડો સમય કામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મનપા દ્વારા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરીને આ રકમ પણ ચૂકવી દેવામાં આવતા કામગીરી આગળ વધી હતી. આ કામગીરી હાલ પૂર્ણ થઈ ચૂકી છે.
રેલવે દ્વારા આ માટે બનાવવામાં આવેલા બોક્સને આ પુશ ટેકનોલોજી માધ્યમથી જે જગ્યાએ અંડરપાસ બનાવવાનું છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યા હતા. બાદમાં નાલા માટેનો રસ્તો ખુલ્લો કરવામાં આવશે. ત્યારબાદ અહીં ડામર રોડ કરી દેવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં આ અંડરપાસ ખુલ્લું મુકવામાં આવે એવી શક્યતા છે. જેને પગલે વધુ એક રસ્તો ખુલ્લો થતા પૂર્વ અને પશ્ચિમ રાજકોટમાં રહેતા હજારો લોકોને દરરોજ અવરજવર માટે વધુ એક રસ્તો મળશે. અને એસ્ટ્રોન નાલાનો ટ્રાફિક હળવો થતા લોકોને મોટી રાહત મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મનપા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અન્ડરબ્રિજ, ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત હોમી દસ્તૂર માર્ગથી આગળ હેમુગઢવી હોલ અને એસ્ટ્રોન ચોક નાલાની વચ્ચે એક નવો માર્ગ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત રૂ. 4 કરોડના ખર્ચે વધુ એક અંડરપાસ બનાવવામાં આવ્યો છે. જેમાં હયાત રોડ લેવલથી 0.35 મીટર જેટલા નીચે રોડનું લેવલ મળી રહે અને ગ્રેવીટીથી પાણીનો નિકાલ થાય તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ અંડરપાસ ક્યારે ખુલ્લું મુકવામાં આવે છે તે જોવું રહ્યું.