‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ ધોરડો હવે દેશનું ચોથું સોલર વિલેજ, ગ્રામજનોને થશે વાર્ષિક રૂ.16 હજારથી વધુની બચત
ખાસ-ખબર ન્યૂઝ કચ્છ
યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (ઞગઠઝઘ) દ્વારા ’બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકેનું સન્માન મેળવનાર કચ્છનું ધોરડો ગામ હવે 100% સોલરાઈઝ્ડ થઈ ગયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ’સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ દરમિયાન તેનું લોકાર્પણ કરવામાં આવશે. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ, ધોરડો ગુજરાતનું ચોથું સોલર વિલેજ બન્યું છે.
- Advertisement -
પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના તમામ 81 રહેણાંક વીજ જોડાણો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે, જેનાથી 177 કિલોવોટની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા પ્રાપ્ત થશે. આ પ્રોજેક્ટથી દરેક ઘરના વીજ વપરાશકારને વાર્ષિક અંદાજે ₹16,064નો આર્થિક લાભ થશે.
આ પ્રોજેક્ટથી ધોરડો ગામમાં વાર્ષિક 2.95 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થવાનો અંદાજ છે, જેના કારણે ગામને કુલ ₹13 લાખથી વધુનો વાર્ષિક ફાયદો થશે. ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વધારાના યુનિટ વેચીને આવક પણ થશે. આ અંગે ગામના સરપંચ મિંયા હુસેને જણાવ્યું કે, “વડાપ્રધાન અને મુખ્યમંત્રીના પ્રયાસોથી અમારા ગામનો ઘણો વિકાસ થયો છે. સોલાર રૂફટોપથી ગામના લોકોને વીજળીનું બિલ સાવ નહિવત્ થઈ જશે અને મોટો ફાયદો થશે.” સરકારની સબસિડી અને બેંક લોનને કારણે ગ્રામજનોને આ કામગીરી માટે બહુ ઓછો ખર્ચ થયો છે અને લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.