દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની તેરસની તિથિએ ધનતેરસ ઉજવવામાં આવે છે. તેરસ પર પ્રદોષ વ્રત પણ રાખવામાં આવે છે. ધનતેરસના દિવસે લોકો સોનુ, ચાંદી, આભૂષણ, મકાન, વાહન વગેરે ખરીદે છે. ધનતેરસ પર માતા લક્ષ્મી અને ધનના અધિપતિ કુબેરની પૂજા કરવામાં આવે છે, જેનાથી વર્ષમાં ધનનું સંકટ ન થાય અને આર્થિક સ્થિતિ મજબૂત રહે.
વિષ્ણુ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે આ દિવસે જ સમુદ્રમંથનમાંથી કમલાસની દેવી લક્ષ્મીની ઉત્પત્તિ થઈ હતી અને સાથે જ વૈદ્ય ધન્વંતરી પણ અવતર્યા હતા. આ ઉપરાંત આધ્યાત્મિક દ્રષ્ટિએ ધનને ભૌતિક ધન નહિ પણ જ્ઞાનરૂપી ધન તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ દિવસે જ્ઞાનરૂપી પુસ્તકોની પૂજા કરવાની પરંપરા છે. જે સમય જતાં ચોપડા પૂજનમાં પરિવર્તિત થઈ છે. ભારત પાસે દુનિયાના ઉન્નત ગ્રંથોનો ભવ્ય વારસો છે. ઘણા વૈજ્ઞાનિકોએ એવું પણ કહ્યું છે કે અમુક પંથ અને મઝહબમાં ધર્મ અને વિજ્ઞાન એકબીજાની વિરુદ્ધ હોય છે, જ્યારે ભારતમાં ધર્મગ્રંથોમાંથી જ વિજ્ઞાનનો જન્મ થાય છે. ખાસ એ માટે જ ઋષિ પરંપરામાં પુસ્તક પૂજનની પરંપરા અસ્તિત્વમાં હતી. જે આજે અમુક ગુરુકુળમાં જ જોવા મળી રહી છે.
- Advertisement -
ધાર્મિક માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે સોનું, પિત્તળના વાસણો વગેરે ખરીદવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. દેવતાઓના વૈદ્ય અને આયુર્વેદના પ્રણેતા ભગવાન ધન્વંતરીનો જન્મ ધનતેરસના દિવસે થયો હતો, તેથી તે દિવસે ધન્વંતરી જયંતિ પણ ઉજવવામાં આવે છે. ભારતના ઘણા વૈદ્યો (ડોક્ટરો) આ દિવસે વિશેષ ધન્વંતરી પૂજન કરે છે. તેમના આશીર્વાદથી વ્યક્તિને સ્વાસ્થ્યનું વરદાન મળે છે.