કોરોનાનો કહેર ઘટતા જ મોટો નિર્ણય
શ્રદ્ધાળુઓએ રસીના બે ડોઝ અને માસ્ક પહેરવું ફરજીયાત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અંબાજી મંદિરમાં કોરોનાનો કહેર ઘટતા જ મોટો નિર્ણય કરાયો છે. અંબાજી મંદિરમાં હવે રજિસ્ટ્રેશન વગર એન્ટ્રી મળશે.
અનેક શ્રદ્ધાળુઓ જેઓ ગામડામાં રહેતા હોય કે પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવી શકનાર શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત નહીં રહી જાય તે માટે નિયમ બદલાયો છે. યાત્રિકો હવે રજિસ્ટ્રેશન કરાયા વગર સીધા અંબાજી મંદિરે દર્શન માટે જઈ શકશે.
- Advertisement -
યાત્રાધામ અંબાજી ગુજરાતનુ જ નહિ, પણ ભારતભરનું પ્રસિદ્ધ શક્તિપીઠ છે. જેને કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. જોકે કોરોના મહામારીને લઇ અંબાજી મંદિર બંધ પણ કરવામાં આવ્યું હતું અને કેટલાક અંશે કોરોનાની પરિસ્થિતિ થાળે પડતા ફરીથી અંબાજી મંદિર સરકારની જઘઙ પ્રમાણે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે.
જેને લઇ અનેક શ્રદ્ધાળુઓ અંબાજી દર્શનાર્થે પહોંચી દર્શનનો લાભ લઇ રહ્યા છે. જોકે દર્શન માટે શ્રદ્ધાળુઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાયા બાદ જ માતાજીના દર્શનનો લાભ મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ હતી. પણ તેવામાં અનેક શ્રદ્ધાળુઓ એવા હતા, જેઓ ગામડામાં રહેતા હોય કે પછી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શક્તા ન હતા. આવા શ્રદ્ધાળુઓ દર્શનથી વંચિત રહી જતા હતા અને ઉદાસ ચહેરે પરત ફરતા હતા. ત્યારે આ મામલે મોટો નિર્ણય લેવાયો છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. શ્રદ્ધાળુઓને ઓનલાઇન રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે. યાત્રરકો હવે રજિસ્ટ્રેશન કરાયા વગર સીધા અંબાજી મંદિરે દર્શન માટે જઈ શકશે. પણ તેવા શ્રદ્ધાળુઓએ રસીના બે ડોઝ ફરજીયાત લીધેલા હોવા જોઈએ અને માસ્ક પણ ફરજીયાત પહેરવું પડશે. તેમજ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે દર્શનનો લાભ લેવાનો રહેશે.
એટલું જ નહિ, હવે મંદિરના નૃત્ય મંડપમાં બેસી માઇભક્તો માતાજીના ગુણગાન કરી શકશે. હવે અહીં ધાર્મિક ભજન મંડળીઓ ભજન કીર્તનના કાર્યક્રમ કરી શકે છે. મંદિર ચોકમાં રોજની બે ભજન મંડળીઓને પરવાનગી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ આ ભજનની એક નવી પહેલને જિલ્લા કલેક્ટર તેમજ મંદિર ટ્રસ્ટના વહીવટદારે દીપ પ્રગટાવીને આ નવી વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો. એટલું જ નહિ, ભજન મંડળીઓને જમવા સાથેની સુવિધા વિનામૂલ્યે મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. આ માટે જે ભજન મંડળીઓ મંદિરમાં ભજન કરવા માંગતા હોય તેઓ પોતાનું બુકીંગ ઓનલાઇન કરાવી શકે તે માટેની પણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવશે તેવુ બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું.


