મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે સરપંચ વિરુદ્ધ આખુંય ગામ ગેરલાયક ઠેરવવા માટે આવેદન પત્ર આપવા તાલુકા પંચાયત કચેરી ખાતે ધસી આવ્યું હતું. જેમાં ગ્રામજનો દ્વારા જણાવાયું હતું કે રાવળીયાવદર ગામના સરપંચ રતનસિંહ ઠાકોર અગાઉ જ્યારે સરપંચ તરીકે ચૂંટણી લડ્યા ત્યારે તેઓને બે સંતાન હતા જે બાદ સરપંચના કાર્યકાળમાં વધુ એક સંતાન થયું એટલે કે કુલ ત્રણ સંતાન હોવા છતાં સરપંચ દ્વારા પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું નથી અને હાલ વર્તમાન સ્થિતિમાં પણ પોતાનું સરપંચ પદ યથાવત છે જે અંગે ચૂંટણી પંચના નિયમો મુજબ ત્રણ સંતાન ધરાવતા કોઇપણ જનપ્રતિનિધિ રહી શકે નહીં જેને લઇ રાવળીયાવદર ગામના ગ્રામજનો આજે સવારે મોટી સંખ્યામાં ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે ધસી આવ્યા હતા અને રાવળીયાવદર ગામના સરપંચ રતનસિંહ ઠાકોરને ત્રણ સંતાન હોવાની તપાસ કરી ગેરલાયક ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી આ સાથે ગ્રામજનો દ્વારા સરપંચ દ્વારા સરપંચ તરીકેના હોદ્દાનો ખોટો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાની અને ગૌચર જમીન પર થયેલ દબાણ બાબતે અનેક વખત રજૂઆત કરાઈ છતાં દબાણકર્તાઓને છાવરતા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.