જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરના ICUમાં મોડી રાતે આગ લાગી
શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન: સ્ટાફ દર્દીઓને છોડીને ભાગ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જયપુર
જયપુરમાં સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ઈંઈઞમાં રવિવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ મહિલાઓ સહિત આઠ દર્દીઓના મોત થયા હતા. ટ્રોમા સેન્ટરના ન્યુરો આઈસીયુ વોર્ડના સ્ટોરરૂમમાં રાત્રે 11:20 વાગ્યે આગ લાગી હતી, જ્યાં પેપર્સ, આઈસીયુનાં સાધનો અને બ્લડ સેમ્પલર ટ્યુબ રાખવામાં આવી હતી, ટ્રોમા સેન્ટરના નોડલ ઓફિસર અને સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની શંકા છે. અકસ્માત સમયે, SMSમાં 11 દર્દીઓ હતા અને બાજુના ઈંઈઞમાં 13 દર્દીઓ હતા. આ દુર્ઘટનામાં પીન્ટુ રહેવાસી સીકર, દિલીપ રહેવાસી આંધી જયપુર, શ્રીનાથ રહેવાસી ભરતપુર, રૂકમણી રહેવાસી ભરતપુર, કુશ્મા રહેવાસી ભરતપુર અને બહાદુર રહેવાસી સાંગાનેર જયપુરના મૃત્યુ નીપજ્યા છે. ફાયર વિભાગના એક કર્મચારીએ મીડિયાને જણાવ્યું હતું કે એલાર્મ વાગતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આખો વોર્ડ ધુમાડાથી ભરાઈ ગયો હતો. અંદર જવાનો કોઈ રસ્તો નહોતો. તેથી, બિલ્ડિંગની બીજી બાજુથી બારીના કાચ દૂર કરવામાં આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આગને કાબુમાં લેવામાં એકથી દોઢ કલાકનો સમય લાગ્યો હતો. બધા દર્દીઓ, તેમના પલંગ સહિત, બહાર શેરીમાં ખસેડવામાં આવ્યા હતા.
એક દર્દીના પરિવારજને કહ્યું – મેં તેમને 20 મિનિટ પહેલા કહ્યું હતું, પરંતુ તેમણે ધ્યાન આપ્યું નહીં
ભરતપુરના રહેવાસી શેરુએ જણાવ્યું કે, આગ લાગી તેના 20 મિનિટ પહેલા ધુમાડો નીકળવા લાગ્યો હતો. તેમણે સ્ટાફને જાણ કરી, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહીં. રાત્રે 11:20 વાગ્યા સુધીમાં, ધુમાડો વધવા લાગ્યો અને પ્લાસ્ટિકની ટ્યુબ ઓગળવા લાગી અને પડવા લાગી. ઘટનાસ્થળે હાજર વોર્ડ બોય ભાગી ગયા. શેરુએ કહ્યું, ‘અમે ખૂબ જ મુશ્ર્કેલીથી અમારા દર્દીને બચાવી શક્યા. અકસ્માતના બે કલાક પછી, દર્દીને ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવામાં આવ્યો. અમને હજુ પણ તેની સ્થિતિ વિશે ખબર નથી. અમને તેને મળવા દેવામાં આવી રહ્યા નથી.’