ખાસ-ખબર ન્યૂઝ વડોદરા, તા.11
વડોદરાના નવલખી મેદાનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જાણીતા આદ્યાત્મિક ગુરુશ્રી દાદા ભગવાનની 117મી જન્મજયંતીની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા દાદા ભગવાનની ટપાલ ટિકિટનું વિમોચન કરી કાર્યક્રમની શરૂઆત કરાવવામાં આવી છે. જોકે, આ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ દીપકભાઈને પગે લાગ્યા હતા. આ આઠ દિવસના કાર્યક્રમ લાખોની સંખ્યામાં ભક્તો પધારશે.ભૂપેન્દ્ર પટેલ સ્ટેજ પર પહોંચતાની સાથે જ લોકોએ તેમનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું હતું. જે બાદ ભૂપેન્દ્ર પેટેલ પૂજ્ય દીપકભાઈને પુષ્પ માળા પહેરાવી દંડવત પ્રણામ કરી પગે લાગ્યાં હતાં. દાદાને સ્વાગત માટે પહેરાવેલી માળા પરત ભૂપેન્દ્ર પટેલને પહેરાવીને તેઓનું સ્વાગત કર્યું હતું. જે બાદ નાના બાળકોએ પણ ઈખનું સ્વાગત કર્યુ હતું. સ્ટેજ પર આત્મજ્ઞાની દીપકભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ટપાલ ટિકિટ વિમોચન માટે કેન્દ્રીય સંચાર વિભાગમાંથી આવેલ મહેમાન ઉપસ્થિત રહ્યાં હતાં. પ. પૂ. દાદા ભગવાનના જીવન ઉપરની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. જે બાદ ભૂપેન્દ્ર પટેલના હસ્તે દાદા ભગવાનની ટિકિટનું વિમોચન કરાયું હતું અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આજે મારો જ્ઞાન દિવસ છે: ભૂપેન્દ્ર પટેલ
- Advertisement -
અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરમ પૂ. દાદા ભગવાનના 117માં જન્મજયંતી પ્રસંગે હાજર તમામ લોકોનું સ્વાગત કરી જય સચ્ચિદાનંદના ઉચ્ચાર સાથે સભાનું સંબોધન શરૂ કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જ્ઞાન મેળવવાના અનેક માર્ગ આપણે ત્યાં પ્રચલિત છે. પૂજ્ય દાદાશ્રીએ આપેલું આત્મજ્ઞાન એક વિશિષ્ટ જ્ઞાન છે, જે સીધું આત્મજ્ઞાન સુઘી પહોંચાડે છે. દાદાની અમૃતવાણી અને વ્યવહારમાંથી જ્ઞાનની અનુભૂતિ થાય છે. તેઓને સુરતના રેલવે સ્ટેશન પર આત્મજ્ઞાન પ્રગટ થયું હતું. પોતે કોણ છે? જગત કેવી રીતે ચાલે છે? ભગવાન ક્યાં છે? શું કરે છે? તેવુ જ્ઞાન દાદાશ્રી સારી કળા શીખવાડી રહ્યાં છે.દાદા ભગવાનની જન્મભૂમિ અને કર્મભૂમિ વડોદરામાં આજના પ્રસંગ નિમિત્તે મામાની પોળમાં પણ ઉત્સાહ છે. કેન્દ્રીય મંત્રીનો વિશેષ આભાર માનું છું. અહીંના સુંદર અયોજન માટે આયોજકોને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. પૂજ્યશ્રીના આજે આશીર્વાદ મેં મેળવ્યા છે. આજે અહીં ઘણાં બધા મહાત્માઓ ઉપસ્થિત છે. આજે મારો જ્ઞાન દિવસ છે. ખૂબ આશિર્વાદ આપજો. દાદાની પાંચ આજ્ઞામાં રહી અને નાનામાં નાના માણસના ખૂબ સારા કામ થાય અને મોક્ષ માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે એવા આશિર્વાદ આપજો.
આઠ દિવસ વિવિધ કાર્યક્રમ યોજાશે
ડભોઇ રોડ ઉપર દાદા ભગવાનનું સમાધિ સ્થાન
- Advertisement -
દાદા ભગવાનની કર્મભૂમિ એવા વડોદરામાં તેમની 117મી જન્મ જયંતીની શાનદાર ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. નવલખી મેદાનમાં ‘જોવા જેવી નગરી’ ઉભી કરવામાં આવી છે. જેમાં આગામી તા.17 નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દાદા ભગવાનના નામે પ્રચલિત અંબાલાલ મૂળજીભાઇ પટેલની કર્મભૂમિ અને જન્મભૂમિ વડોદરા રહી છે. વ્યવસાયિક પ્રવૃત્તિ દરમિયાન તેમને આત્મજ્ઞાન થતાં અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંત આપી અનુયાયીઓને દિવ્ય ચેતના સાથે જોડવાનું અભિયાન શરૂ કર્યું હતું. હાલમાં દાદા ભગવાન ફાઉન્ડેશના નેજા તળે સામાજિક અને આદ્યાત્મિક ઉત્કર્ષ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ડભોઇ રોડ ઉપર દાદા ભગવાનનું સમાધિ સ્થાન અને વરણામામાં ત્રિમંદિર પ્રસિદ્ધ યાત્રાધામો છે.