હવે તો મહારાષ્ટ્રની ચૂંટણી પૂર્વે ઇંધણના ભાવમાં કોઇ ઘટાડો થાય તો તે રાહતની આશા રહી છે
પેટ્રોલિયમ મંત્રાલયનું સ્પષ્ટ વલણ : લાંબા સમય સુધી ભાવ સ્થિર રહેવા જોઇએ
ઇઝરાયલના હિઝબુલ્લા પર ઇલેકટ્રોનિક હુમલાથી તનાવ વધ્યો : બ્રેન્ટ ક્રુડતેલ 75 ડોલરની સપાટીએ પહોંચી ગયું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
- Advertisement -
લાંબા સમય બાદ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં આશા સર્જાઇ હતી તે હાલ ફળીભુત થાય તેવી શકયતા નહીંવત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલના ભાવમાં થયેલા ઘટાડા અને એક તબકકે ભારતના ઉપયોગ માટે બ્રેન્ટ ક્રુડ 70 ડોલરથી પણ નીચી સપાટીએ ચાલ્યુ જતા દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે તેવા સંકેત મળ્યા હતા.
જોકે ઓઇલ કંપનીઓ અગાઉથી સાવચેતીભર્યુ વલણ અપનાવી રહી હતી અને એક વખત ભાવ સ્થિર થયા બાદ ઘરઆંગણે પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવા નિર્ણય લેવાશે તેવો સંકેત આપી દીધો હતો પરંતુ ફરી એક વખત ક્રુડતેલના ભાવમાં વધારો થયો છે.
બ્રેન્ટક્રુડતેલ જે એક તબકકે 70 ડોલરથી નીચે આવી ગયું હતું અને ત્રણ વર્ષમાં તે સૌથી નીચી સપાટીએ ટ્રેડ થતું હતું. તે ફરી એક વખત વધવા લાગ્યું છે.
ખાસ કરીને જે રીતે ઇઝરાયલ દ્વારા લેબનાનમાં એક પછી એક ઇલેકટ્રોનિક બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે અને લેબનાન સ્થિત હિઝબુલ્લા સંગઠને ઇઝરાયલ સામે ખુલ્લા યુધ્ધની જાહેરાત કરી છે તે પછી બજારમાં ફરી એક વખત ક્રુડતેલ મોંઘુ થવા લાગ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ જયાં સુધી મધ્ય પૂર્વમાં તનાવ રહેશે ત્યાં સુધી ક્રુડતેલના ભાવમાં અનિશ્ચિતતા થતી રહેશે અને તેથી કોઇ નિર્ણય ઉતાવળીયો સાબિત થઇ શકે છે. ભારતમાં પેટ્રોલિયમ કંપનીઓએ એપ્રિલ-2022થી પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર કરી દીધા છે. અગાઉ 15 દિવસની ક્રુડતેલના ભાવની સરેરાશને ધ્યાનમાં રાખીને રોજબરોજ પેટ્રોલ-ડિઝલના ભાવ નિશ્ચિત થતા હતા મોદી સરકારે તે પ્રક્રિયા ઠપ્પ કરી દીધી છે.
- Advertisement -
એપ્રિલ-2022 બાદ એક વખત લોકસભા ચૂંટણી પૂર્વે પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લીટર રૂા.બે-બે ઘટાડો થયો હતો.
ભારત તેની પેટ્રોલિયમ આવશ્યકતાના 80 ટકાથી વધુ આયાત કરે છે અને તેથી જ આંતરરાષ્ટ્રીય માર્કેટ મુજબ ભારતને ચાલવું પડે છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું કે હવે જે સ્થિતિ છે તેમાં મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં જો કોઇ ભાવ ઘટાડો કરવાનું વિચારાય તો જ રાહત મળશે અન્યથા ચાલુ વર્ષે ભાવમાં કોઇ ફેરફારની શકયતા નથી.
ખાસ કરીને અમેરિકી ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરતા જ બજારમાં તેજી કે મંદીનું રૂખ હવે નિશ્ચિત થશે અને લાંબાગાળે ભાવ અંગે કોઇ સંકેત મળે તેવી શકયતા છે.