ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.6
વેરાવળ રેલવે પોલીસ દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે, અહીં રેલ્વે સ્ટેશન પર કોઈ અજાણી 40 વર્ષ જેટલી ઉંમરની મહિલા પોતાનાં શરીર પર કેરસીન છાંટી સળગી જવાનો પ્રયત્ન કરી રહી છે. તેમના બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇન ટીમની જરૂર છે. આ અંગેની જાણ થતાં ફરજ પરનાં કાઉન્સેલર અંજનાબેન દાફડા, મહિલા કોન્સ્ટેબલ સોનલબેન ખાણીયા તેમજ પાઇલોટ રમેશભાઈ સહિત ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેલવે સ્ટેશન પર જઈને મહિલાને મળી જોયું તો મહિલા પૂરા શરીર પર કેરોસીન છાંટીને બેઠી હતી.
181 મહિલા હેલ્પલાઈન ટીમ તેમજ રેલ્વે પોલીસનાં સયુંક્ત પ્રયાસો દ્વારા મહિલાનું સતત 2 કલાક કાઉન્સેલિંગ કર્યું હતી. બાદમાં મહિલાને આશ્વાસન આપી ભાવનાત્મક સાથ આપી મહિલાને સવાલો કરેલ પરંતુ તેઓ કોઈ ચોક્કસ જવાબ આપતા ન હતા. વધુ પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ઉજ્જૈનથી કાલ સાંજના અહી છે. તેમને કોઈ તાંત્રિકે બોલાવ્યા હોવાથી આવ્યાં હતાં. પરંતુ તે કોણ વ્યક્તિ છે તેનો જવાબ આપતા ન હતા અને મનોમંથન કરતા હિન્દી ભાષામાં બોલતા હતા કે, ’મેં ઉસકે બીબી બચ્ચો કો માર દૂંગી, ઉસને મેરી જિંદગી ખરાબ કર કે રખી હૈ, મુજે મર જાનાં હૈં’ મહિલા તેમના ઘર પરિવાર વિશે કંઈ પણ જણાવતા ન હતાં. પરંતુ તેમના વર્તન પરથી લાગી રહ્યું હતું કે, તેઓ અંધશ્રદ્ધામાં ખેંચાઈ ગયા છે.
- Advertisement -
તેમનાં કપડાં કેરોસીનથી પલળેલ હોય તેથી મહિલાને નવડાવી કપડાં બદલાવી સ્વચ્છ કર્યા હતાં. ફરી લાગણી સભર કાઉન્સેલિંગ કરતા મહિલાએ ઉજ્જૈનમાં જ્યાં રહે છે તેનું સરનામું આપી અને તેમના પતિ હયાત નથી અને તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. એવું જણાવ્યું હતું,. આ મહિલા આત્મહત્યા કરવાનું કોઈ ચોક્કસ કારણ જણાવતાં ન હતાં. તેઓએ સામેથી જ હિન્દીમાં કહ્યું કે, તેમને કોઈ અનાથાશ્રમમાં મૂકી જાવ. તેથી હાલ મહિલાને આશ્રયની પણ જરૂર હોય તેથી સખી વન સ્ટોપ સેન્ટર વેરાવળ ખાતે આશ્રય અપાવ્યો હતો. આમ સખી વન સ્ટોપની ટીમે મહિલાને ભાવનાત્મક સાથ આપી અને આત્મહત્યા કરતા અટકાવી હતી.



