મોત મામલે FSL તપાસ સાથે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ પાસેના સાબલપુરના 13 વર્ષના બાળકના મોતના મામલે ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે એફએસએલ તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સાબલપુરમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતાં હુસેનભાઈ ખેભરનો 12 વર્ષનો બાળક શનિવારે મહાનગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલ 30 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયો હતો અને તેનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.
ખાડા નજીક કોઈ ચેતવણી બોર્ડ મૂકવામાં ન આવ્યો હોવાનો અને ફેન્સિંગ કરવામાં આવ્યું ન હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરી મનપાના જવાબદાર અધિકારી સામે બેદરકારી સબબ કાર્યવાહી કરવાની માગણી કરી હતી અને આગેવાનોએ બાળકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી આમરણ ઉપવાસ શરૂ કરી દીધા હતા. જોકે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ યોગ્ય તપાસની ખાતરી આપતા રાત્રે 3 કલાકે બાળકનો મૃતદેહ સ્વીકાર્યો હતો. ડીવાયએસપી પાંધલ્યાએ જણાવ્યું હતું કે, બાળકના મોતના મામલે તાલુકા પોલીસ મથકમાં મૃતકના પિતા હુસેનભાઈ આમદભાઈ ખેભરે નિવેદનમાં તેનો 12 વર્ષીય પુત્ર અમન પાણીના ખાડામાં ન્હાવા ગયો હતો અને કિચડમાં ફસાઈ જતા તેનું મૃત્યુ થયાનું જણાવતા તેના આધારે અમોત દાખલ કરી તેની તપાસ પીએસઆઈ જે. એ. ટાંકને સોંપવામાં આવી છે અને તેમના દ્વારા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાંતો સાથે રાખી પંચનામુ સહિતની કાર્યવાહી, તપાસ હાથ ધરવામાં આવી છે.