બે આખલા લડતાં લડતાં બાઇક પર પડ્યા : વૃદ્ધનું મોત-વેપારીને ગંભીર ઇજા
રાજકોટમાં રસ્તા પર રખડતાં ઢોરને ડબ્બે પુરાવવા મનપા ઊણું ઊતરી રહ્યું છે. મનપાની બેદરકારીથી વધુ એક વૃદ્ધનો ભોગ લેવાયો છે, જ્યારે એક યુવાનને ગંભીર ઇજા પહોંચી છે. ગત રાત્રે મેયરના વોર્ડ નં.12ની બાજુમાં વોર્ડ નં.11માં આવેલા મવડી વિસ્તારમાં રસ્તાઓ પર રખડતાં ઢોરનો આતંક સામે આવ્યો હતો. મવડીમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે સામેના રોડ પર બે આખલા લડતાં લડતાં આ બાજુના રોડ પર આવી બાઇક પર બેઠા વૃદ્ધ અને બાઇકચાલક દરજી વેપારી પર પડ્યા હતા, આથી ગંભીર ઇજા સાથે બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ વૃદ્ધનું મોત નીપજ્યું હતું, જ્યારે દરજી વેપારીની સારવાર કરવામાં આવી રહી છે. ખુદ પ્રદેશ ભાજપ-પ્રમુખ પાટીલ રખડતાં ઢોરને પકડવાની ટકોર કરતા હોવા છતાં મનપાનું વલણ ઉદાસીન કેમ છે એવો સવાલ લોકોમાં ઊઠ્યો છે.

મૃતક વિનુભાઈ કેશુભાઈ મકવાણા ઈજાગ્રસ્ત કમલભાઈ ભરતભાઈ પટોડિયા
- Advertisement -
RMC કમિશનર પર સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થવો જોઈએ
કોર્પોરેશન જાતજાતનાં એવોર્ડસ લઈ આવે છે, પરંતુ પાયાનાં કાર્યો થતાં નથી
ખૂંટીયાએ કે રઝળતી ગાયોએ રાજકોટમાં કોઈનાં પ્રાણ લીધા હોય તેવી આ પ્રથમ ઘટના નથી. આવી ગંભીર ઘટના વારંવાર બનતી રહે છે. નિષ્ઠુર, નિર્દય અધિકારીઓ અને પદાધિકારીઓને આ સમસ્યા વિશે જરાપણ ગંભીરતા નથી. વાસ્તવમાં શહેરનાં રસ્તાઓને ઢોરમુક્ત રાખવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશનરની હોય છે. પણ, રાજકોટ પર હંમેશા સ્પાર્ક વગરનાં, નૂર વગરનાં, પપલું જેવા અધિકારીઓ જ ઠોકાયા છે. એટલે શહેરના મહત્ત્વનાં કાર્યો થતાં નથી. જનતાને ઉલ્લુ બનાવવા કોર્પોરેશન જાતજાતનાં એવોર્ડસ લઈ આવે છે. પરંતુ પાયાનાં કાર્યો થતાં નથી. આવા અધિકારીઓને પાઠ ભણાવવા માટે તેમની સામે કલમ 304 હેઠળ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થવો જોઈએ. એક વખત આવું થશે તો જ અધિકારીઓને પોતાની ફરજનું ભાન થશે.
રખડતા ઢોર મુદ્દે પાટીલે મેયરનાં ક્લાસ લીધા હતા
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોર આતંક મચાવી રહ્યા છે અને એને કારણે જ અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. એટલું જ નહીં, આ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા પણ મેયર સહિતના પદાધિકારીઓને વારંવાર ટકોર કરી ચૂક્યા છે. રાજકોટની મુલાકાતે આવેલા પાટીલે જાહેરમાં મેયરના રખડતાં ઢોર મુદ્દે ક્લાસ લીધા હતા તેમજ તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં પણ આ માટે જોગવાઇ કરવામાં આવી છે છતાં આ તમામ જોગવાઇ માત્ર કાગળ પર જ હોય એમ રખડતાં ઢોરને કારણે વધુ એક વૃદ્ધનો ભોગ લેવાયો છે.
રખડતા ઢોર અંગે સઘન કાર્યવાહી ક્યારે?
ઢોરનો ત્રાસ દૂર કરવાની વાત માત્ર કાગળ પર!
છેલ્લા કેટલાંક વર્ષમાં ઢોર દ્વારા હુમલાના કેસો વધતા કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર અંગે સઘન કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ કોઈ નક્કર કામગીરી નહીં કરતાં શહેરના માર્ગો પર રખડતા ઢોર જોવા મળે છે. ગાય છોડાવવાના મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપ થતા રહે છે ત્યારે કોર્પોરેશન ઢોર અંકુશ ખાતુ યોગ્ય કામગીરી કરે તે જરૂરી છે. જો તંત્ર તેની કામગીરી કરતું હોય તો રસ્તા પર ઢોર શા માટે રખડતા જોવા મળે છે તે સવાલ શહેરીજનો કરી રહ્યા છે. રાજકોટ શહેરમાં હજારો પશુધન નોંધાયેલા હશે અને નવા વિસ્તારો ભળતા આ અંક લાખે પહોંચ્યો હશે તો બીજી તરફ છઋઈંઉ ટેગ માત્ર અમુક હજાર પશુઓમાં લગાવવામાં આવ્યો છે એટલેકે હજુ મોટી સંખ્યામાં ટેગ લાગવાના બાકી છે. આવા ટેગ લગાવ્યા વિનાના અસંખ્ય ઢોર રસ્તાઓ પર રખડી રહ્યા છે, શહેરના નાગરિકો રખડતા ઢોરોથી પરેશાન છે તેમ છતાં કોર્પોરેશનનાં અધિકારીઓને આ ઢોર દેખાતા નથી એ મોટી વાત છે. કોર્પોરેશનનાં અધિકારીઓ અને પશું માલિકો વચ્ચેની સાંઠગાઠના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મનપા ઢોરનો ત્રાસ દૂર કરવામાં કાગળ પર શૂરી અને હકીકતમાં ઉણી ઉતરી છે.
- Advertisement -
ઢોરનાં ત્રાસથી પ્રજા ત્રસ્ત
ગુજરાતના ગામડાંઓ તો ઠીક પરંતુ રાજકોટ જેવા સ્માર્ટ સીટીમાં પણરખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. મે 2018માં કોર્પોરેશનો દ્વારા હાઈકોર્ટમાં એવું જણાવામાં આવ્યું હતું કે એક વર્ષમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવામાં આવશે પરંતુ આજે પણ રસ્તા પર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. રાજકોટમાં રસ્તા પર રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક લોકોએ અનેક વખત ઢોરને પકડવા માટે મામલે તંત્રમાં ફરિયાદ કરી છે. રસ્તા પર ઢોર આવતા અનેક વખત અકસ્માતની ઘટના પણ બની છે. અનેક વખત ઢોરના હુમલાના કારણે લોકો ઈજાગ્રસ્ત પણ થાય છે. અગાઉ ઢોર પકડવા આવતા લોકો પર હુમલા થયા છે. હુમલાના ડરે તંત્ર કામગીરી ન કરતું હોવાનું લોકોએ આક્ષેપ કર્યો છે.
અગાઉ 2 વર્ષની બાળકીને ગાયે ઉલાળતાં માથામાં 10 ટાંકા આવ્યા હતા

બે મહિના પહેલાં રાજકોટના સંત કબીર રોડ પર રખડતી ગાયના હુમલામાં પ્રજાપતિ પરિવારની મહિલા નીલમબેન અને તેની 2 વર્ષની પુત્રી આંશી ઘાયલ થયાં હતાં, જેમાં આંશીને માથામાં 10 ટાંકા આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આંશીના પિતા સંદીપભાઈ કામ પરથી હોસ્પિટલ દોડી આવ્યા હતા. દીકરીના માથામાં 10 ટાંકા જોઈ પિતા ચક્કર ખાઈને પડી જતાં બેભાન થઈ ગયા હતા. સંદીપભાઇએ જણાવ્યું હતું કે રખડતાં ઢોરો મામલે કોઈ અમારી ફરિયાદ સાંભળતું નથી.
7 વર્ષમાં રખડતાં ઢોરમાં 10 ટકાથી વધુનો વધારો
ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં રખડતાં ઢોરની સંખ્યા 2012માં 2.92 લાખ હતી અને 2019માં વધીને 3.43 લાખ થઇ ગઇ છે. આમ, 7 વર્ષમાં રખડતાં ઢોરની સંખ્યામાં 10%થી વધુનો વધારો નોંધાયો છે. આ માહિતી પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આપવામાં આવી હતી.


