ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ જેલમાંથી જામીન પર છૂટી 6 વર્ષથી નાસતો ફરતો ડેપ્યુટી મેયરનો હત્યારો અશ્ર્વિન વલકુભાઈ સભાડને રાજસ્થાનના બિકાનેરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી જૂનાગઢ પોલીસના હવાલે કર્યો હતો. શહેરના ગિરનાર દરવાજા વિસ્તારનો અશ્વિન સભાડ તથા અન્ય શખ્સો ડ્રગ્સ, અત્યારની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તે અંગેની માહિતી તે મહાનગરપાલિકા વોર્ડ નંબર 9ના કોર્પોરેટર, મનપાના દંડક તથા પૂર્વ ડે. મેયર કરમણભાઈ પુંજાભાઈ કટારાએ પોલીસને આપી હોવાની અદાવત રાખી અશ્વિન વલકુ સહિત 5 શખ્સે ગઈ તા. 02-02-2010ના રોજ ભવનાથમાં વડલી ચોક ખાતે પિસ્તોલમાંથી કરમણભાઈ પર 3 રાઉન્ડ ફાયર કરી માથા, પીઠના ભાગે ગંભીર પહોંચાડી હત્યા કરી નાસી ગયા હતા. આ ઘટનામાં પોલીસે પ્રથમ 4 આરોપીને અને બાદમાં મહામહેનતે તા. 26-02-2010ના રોજ અશ્ર્વિન વલકુની ધરપકડ કરી હતી. બાદમાં સેશન્સ કોર્ટના હુકમથી મુખ્ય આરોપી અશ્વિન સભાડને કાચા કામના કેદી તરીકે જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી આપ્યો હતો. આ પછી ગુજરાત હાઇકોર્ટના અન્વયે તા. 18-10-2010ના 5 દિવસના વચગાળાના જામીન મંજુર થયા હતા. પરંતુ અશ્ર્વિન વલકુ વચગાળાના જામીન ઉપરથી હાજર નહીં થઈ તા. 24-10-2019થી ફરાર થઈ ગયો હતો. આરોપીની સત્વરે ધરપકડ કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં એસએમસીના એસપી મયુર ચાવડાએ ટીમો કાર્યરત કરી હતી. દરમિયાન આરોપી અશ્ર્વિન વલકુ જુદા જુદા વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યમાં ફરતો હોવાની અને હાલ રાજસ્થાનીના બિકાનેર ખાતે હોવાની બાતમી મળતા એસએમસીની ટીમ બિકાનેરથી ઝડપી લઇ શુક્રવારે વધુ કાર્યવાહી અર્થે જૂનાગઢ પોલીસને સોંપી આપ્યો હતો.
SMC ટીમે બાતમીના આધારે અશ્ર્વિનને ઝડપ્યો
- Advertisement -
કાચા કામનો કેદી અશ્ર્વિન વલકુભાઈ સભાડ પોતાની ધરપકડ થાય નહીં તે માટે બાલ, દાઢી વધારીને સાધુ જેવા તેમજ શીખની પાઘડી જેવા જુદા જુદા વેશ ધારણ કરી અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો. છતાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સિસથી બાતમી આધારે વોચ ગોઠવી અશ્ર્વિન કાઠીને ઝડપી લઇ મહત્વની સફળતા મેળવી હતી.
પૂર્વ ડે.મેયરની હત્યાનાં 24માં દિવસે પકડાયો હતો
તે સમયના મહાનગરપાલિકાના દંડક, પૂર્વ ડેપ્યુટી મેયર કરમણભાઈ પુંજાભાઈ કટારાની ગત તા. 2 ફેબ્રુઆરી 2010ના રોજ પિસ્તોલમાંથી ફાયર કરી હત્યા નિપજાવી અશ્ર્વિન વલકુ સભાડ સહિત 5 શખ્સો નાસી ગયા હતા. આરોપીઓની ધરપકડ, તપાસ માટે તે સમયના ડીઆઈજી મોહન ઝાએ જૂનાગઢ, પોરબંદર સહિતના જિલ્લાની ટીમોની રચના કરી હતી. ગણતરીના દિવસોમાં અશ્ર્વિન સિવાયના 4 આરોપીને ઝડપી લીધા હતા. પરંતુ હત્યાના 24માં દિવસે 26 ફેબ્રુઆરી 2010ના રોજ મહા મહેનતે મુખ્ય આરોપી અશ્વિન વલકુ સભાડની ધરપકડ પોલીસ કરી શકી હતી.
- Advertisement -
અશ્ર્વિન વિરુદ્ધ હત્યા, ડ્રગ્સ સહિત 12થી વધુ ગુના
4 સાગરીત સાથે મળી પૂર્વ ડે. મેયર કરમણભાઈ કટારાની ભવનાથ ખાતે હત્યા કરનાર શહેરના ગિરનાર દરવાજાનો અશ્ર્વિન વલકુ વિરુઘ્ધ ખૂન, એનડીપીએસ, શરીર સંબંધી તેમજ આર્મ્સ એક્ટ હેઠળ સહિત 12થી વધુ ગુના નોંધાયા હતા.



