સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
પાછલા 6 દશકાની વાત કરીએ તો વર્ષ 2022 ભારતનું સહુથી શાંતિપૂર્ણ વર્ષ રહ્યું છે. મતલબ જ્યારથી ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન બન્યા હતા, તે વર્ષથી લઈને અત્યાર સુધીમાં 2022 એવું વર્ષ છે જેમાં દેશભરમાં સહુથી ઓછા રમખાણો થયા છે. આ માહિતી રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (ગઈછઇ) દ્વારા આપવામાં આવી છે. વર્ષ 2022માં દેશમાં 37,816 રમખાણોની ઘટનાઓ ઘટી છે. સીધી વાત કરીએ તો પીએમ મોદીની સરકારમાં રમખાણો ઘટ્યા છે.
રમખાણોની સંખ્યામાં ગત પાંચ વર્ષોમાં 35%થી વધુ ઘટાડો આવ્યો છે. ત્યાં વર્ષ 2021ની તુલનામાં વર્ષ 2022માં રમખાણોની સંખ્યામાં 9.5%નો ઘટાડો આવ્યો છે. વર્ષ 2021માં દેશમાં રમખાણોની સંખ્યા 41,954 હતી. પાછલા પાંચ વર્ષોમાં વર્ષ-દરવર્ષ રમખાણોની ઘટનામાં ઘટાડો થતો રહ્યો છે.
ભાજપ શાસિત રાજ્યોએ રમખાણો ઘટાડવામાં અને કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવામાં ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું છે, ત્યારે કોંગ્રેસ શાસિત રાજ્યો આમાં નિષ્ફળ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને આસામ જેવા ભાજપ શાસિત રાજ્યો રમખાણો ઘટાડવામાં સફળ થયા છે ત્યારે છત્તીસગઢમાં અત્યાર સુધી સત્તાધારી કોંગ્રેસના શાસનમાં રમખાણો વધ્યા છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત અને આસામને છેલ્લા પાંચ વર્ષમાં રમખાણો ઘટાડવામાં સૌથી મોટી સફળતા મળી છે. 2022માં 2018ની સરખામણીએ ગુજરાતમાં રમખાણોની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે આસામમાં 80 ટકાનો ઘટાડો થયો છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસન દરમિયાન રમખાણોમાં 50 ટકાનો ઘટાડો કરવામાં સફળતા મળી છે. તેનાથી વિપરીત છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારમાં 2018માં રમખાણો વધી ગયા હતા. છત્તીસગઢમાં વર્ષ 2018માં ભૂપેશ બઘેલના શાસન વર્ષમાં રમખાણની 665 ઘટનાઓ બની હતી. 2022 માં તેમણે સત્તા છોડ્યાના એક વર્ષ પહેલા, ઘટનાઓની સંખ્યા 30% વધીને 961 થઈ ગઈ.
નોંધનીય છે કે, ભાજપ શાસિત રાજ્યોમાં જ્યાં રમખાણો ઓછા થયા છે ત્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુનેગારોના ગેરકાયદેસર બનેલા ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. તેમની મિલકતો સતત જપ્ત કરવામાં આવી છે અને જાહેરમાં રમખાણો કરવાવાળાના ફોટા પણ મૂકવામાં આવ્યા હતા. બીજી એક હકીકત એ પણ સામે આવી છે કે ઉત્તર પ્રદેશ હવે દેશનું સૌથી વધુ રમખાણગ્રસ્ત રાજ્ય નથી રહ્યું. દેશમાં સૌથી વધુ રમખાણો મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જો કે 2022માં સરકારને તેમાં પણ ઘટાડો કરવામાં સફળતા મળી છે. દેશમાં રમખાણોના આંકડા પર નજર કરીએ તો એક વિશ્ર્લેષણ પરથી જાણવા મળે છે કે સ્વતંત્રતા મળ્યા બાદથી દેશમાં રમખાણોમાં સતત વધારો થઇ રહ્યો હતો. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે 1981માં આ આંકડો 1.10 લાખને પાર કરી ગયો હતો. દેશમાં રમખાણોની ઘટનાઓમાં પ્રથમ તીવ્ર ઘટાડો પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના શાસનમાં જોવા મળ્યો હતો.
જો કે યુપીએ સરકારના શાસનમાં દેશમાં ફરી એકવાર રમખાણો વધ્યા હતા. 2014માં વડાપ્રધાન મોદી સત્તા પર આવ્યા બાદથી દેશમાં રમખાણોની સંખ્યા સતત ઘટી રહી છે. આ કારણે દરેક નવું વર્ષ દેશનું સૌથી શાંતિપૂર્ણ વર્ષ બની રહ્યું છે.