સેનાએ સમયાંતરે ફેસબુક, એક્સ (અગાઉ ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શિકા જારી કરી છે. સુરક્ષાના કારણોસર તેમના ઉપયોગ પર અગાઉ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા
ભારતીય સેનાએ બદલાતા સમય અને ટેકનોલોજીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની સોશિયલ મીડિયા પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે સૈનિકો અને અધિકારીઓને ઈન્સ્ટાગ્રામ જોવાની અને મોનિટર કરવાની છૂટ આપવામાં આવી છે. જોકે, તેઓ કોઈપણ પોસ્ટ પર લાઈક, શેર કે કોમેન્ટ કરી શકશે નહીં.
- Advertisement -
નવા નિયમો શું છે?
ભારતીય સેનાના તમામ યુનિટો અને વિભાગો માટે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. હવે સૈનિકોને જાગૃતિ અને માહિતી મેળવવાના હેતુથી સોશિયલ મીડિયા કન્ટેન્ટ માત્ર જોવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સુરક્ષાના કારણોસર કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવા પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે એટલે કે સૈનિકો કોઈપણ પોસ્ટ પર લાઈક, શેર કે કોમેન્ટ કરી શકશે નહીં.
આ ઉપરાંત, સેનાએ ફેક ન્યૂઝ સામે લાલ આંખ કરી છે, જો કોઈ સૈનિકને સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરતી કે ખોટી માહિતી જણાય, તો તેણે તાત્કાલિક વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવાની રહેશે જેથી રાષ્ટ્રીય સુરક્ષા અને માહિતીની ચોકસાઈ જળવાઈ રહે.
- Advertisement -
સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું નિવેદન
તાજેતરમાં ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ‘ચાણક્ય ડિફેન્સ ડાયલોગ’ દરમિયાન સૈનિકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે, આજની ‘જનરેશન-Z’ના યુવાનો સેનામાં જોડાવા માંગે છે, પરંતુ સેનાના શિસ્ત અને સોશિયલ મીડિયા વચ્ચે એક વિરોધાભાસ દેખાય છે. આના જવાબમાં જનરલ દ્વિવેદીએ કહ્યું કે, ‘આ ખરેખર એક મોટો પડકાર છે. જ્યારે યુવાન કેડેટ્સ NDAમાં આવે છે, ત્યારે તેઓ સૌથી પહેલા પોતાના રૂમમાં છુપાવેલા ફોન શોધે છે. તેમને એ સમજાવતા ત્રણથી છ મહિના લાગી જાય છે કે ફોન વગર પણ જિંદગી છે.’
જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આજના યુગમાં સ્માર્ટફોન એક અનિવાર્ય જરૂરિયાત બની ગયો છે. તેમણે આગળ કહ્યું કે, ‘હું સૈનિકોને સ્માર્ટફોન વાપરવાની ક્યારેય ના નથી પાડતો. આપણે મોટાભાગે ફિલ્ડમાં હોઈએ છીએ. બાળકની સ્કૂલ ફી ભરવાની હોય, માતા-પિતાની તબિયત જાણવાની હોય કે પત્ની સાથે વાત કરવાની હોય, આ બધું ફોન દ્વારા જ શક્ય બને છે.’
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપવા બાબતે આર્મી ચીફે જણાવ્યું કે, ‘રિએક્ટ કરવું'(તરત જવાબ આપવો) અને ‘રિસ્પોન્ડ કરવું’ (વિચારીને જવાબ આપવો) એ બંને અલગ વાતો છે. તેમણે સમજાવ્યું કે, ‘રિએક્ટ કરવું એટલે વગર વિચારે તરત જવાબ આપી દેવો, જ્યારે રિસ્પોન્ડ કરવું એટલે ગંભીરતાથી વિચારીને જવાબ આપવો. અમે નથી ઈચ્છતા કે અમારા સૈનિકો ઉતાવળમાં કોઈ પણ વિવાદ કે ચર્ચામાં ફસાય. તેથી જ તેમને ‘X’ જેવા પ્લેટફોર્મ પર માત્ર કોન્ટેન્ટ જોવાની મંજૂરી આપવામાં આવી છે, જવાબ આપવાની નહીં.”
શા માટે આટલી કડકાઈ?
ભૂતકાળમાં ‘હની ટ્રેપ’ (વિદેશી એજન્સીઓ દ્વારા સૈનિકોને ફસાવવા) અને સંવેદનશીલ માહિતી લીક થવાના કિસ્સાઓને કારણે 2020માં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સહિત 89 એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, હવે સેના સત્તાવાર રીતે ફેસબુક, યુટ્યુબ, X, લિંક્ડઈન અને વોટ્સએપ જેવી એપ્સનો મર્યાદિત અને સુરક્ષિત ઉપયોગ કરવાની મંજૂરી આપી રહી છે.
અગાઉ પણ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે
વર્ષ 2017માં તત્કાલીન સંરક્ષણ રાજ્ય મંત્રી સુભાષ ભામરેએ સંસદમાં જણાવ્યું હતું કે, માહિતીની સુરક્ષા જાળવવા અને તેનો દુરુપયોગ રોકવા માટે આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.
વર્ષ 2019 સુધી સેનાના જવાનો કોઈ પણ સોશિયલ મીડિયા ગ્રુપનો હિસ્સો બની શકતા નહોતા. ત્યારબાદ 2020માં નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા અને સૈનિકોને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત 89 મોબાઈલ એપ્સ ડિલીટ કરી નાખવા આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, આટલા કડક નિયમો હોવા છતાં, સેનાએ ફેસબુક, યૂટ્યૂબ, X (ટ્વિટર), લિંક્ડઈન, ક્વોરા, ટેલિગ્રામ અને વોટ્સએપ જેવા પ્લેટફોર્મ્સના મર્યાદિત ઉપયોગની છૂટ આપી હતી, પણ તે માટે કડક મોનિટરિંગ સિસ્ટમ રાખવામાં આવી છે.




