જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ચાલતો વિખવાદ ચરમસીમાએ
સામાન્ય સભામાં સભ્યોએ અધિકારીઓ પર બેદરકારીના આક્ષેપો
DDO, કાર્યપાલક ઈજનેરને સરકારમાં પરત મોકલવા ઠરાવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જિલ્લા પંચાયતની વિવિધ મુદદ્દે સામાન્ય સભા યોજાઇ હતી. દર વખતે સામાન્ય સભા એકાદ કલાક જેટલો સમય ચાલતી હતી. આ સભા 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી ચાલી હતી. બેઠકમાં સભ્યોએ અધિકારીઓને ઘેરાવ માટે પ્રયાસો કરી રોષ ઠાલવ્યો હતો. જિલ્લા પંચાયતના સભ્ય અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાક નુકસાનના સર્વે બાબતે અધિકારીઓએ બેદરકારી દાખવી તેના કારણે ખેડૂતોને પાક નુકસાનના વળતરથી વંચિત રહેવાનો વારો આવશે એવા આક્ષેપો કર્યા હતા. જૂનાગઢ જિલ્લા પંચાયમાં અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિખવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સભ્યોએ ડીડીઓ અને બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને સરકારમાં પરત મોકલવાનો ઠરાવ કરતા રાજકારણ ગરમાયુ છે. આ સવાલોના જવાબમાં અધિકારીઓએ લેખિત આપવા કહ્યુ હતુ. આ ઉપરાંત બાંધકામને લગતા વિવિધ પ્રશ્ર્નો છેલ્લા ઘણા મસયથી ટલ્લે ચડાવવામાં આવી રહ્યા છે.
જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેવા આક્ષેપો સભ્યો કરતા હતા. જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ જણાવ્યુ હતુ કે, કોઇ એજન્સી નિયમોની આંટીઘુટી અને કાયદાના મનઘડતના લીધે કામ કરવા તૈયાર નથી એવા આક્ષેપ કર્યા હતા. સામાન્ય સભામાં સભ્યોએ કાર્યપાલક ઇજનરે વિશે ઠરાવ કર્યો છે કે, જિલ્લાના રસ્તાની કામગીરી અસહ્ય વિલંબ અને કામગીરી લેવાની અણ આવડતના કારણે એક વર્ષથી રસ્તાની કામગીરી ખોરંભે પડેલ હોય આ અધિકારીને સરકારમાં પરત મોકલવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે જિલ્લા વિકાસ અધિકારીના મનસ્વી વર્તનના કારણે છેલ્લા એક વર્ષથી જિલ્લાના વિકાસ કામો ખોરંભે પડેલ હોય, જિલ્લા પંચાયત દ્વારા મળતી સુવિધા પરત લઇ આ અધિકારીને સરકારમાં પરત મોકલવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો જેમાં 21થી વધુ સભ્યોએ સહમતી દર્શાવી છે. નોંધનીય છે કે, ડીડીઓ તરીકે નિતિન સાંગવાન આવ્યા બાદ વહિવટી પ્રક્રિયાઓમાં અનેક બદલાવ લાવવામાં આવ્યા છે. જેમાં વધુમાં વધુ પારદર્શીતા રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક ગેરરિતીઓની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ જેમ લોલમલોલ ચાલીતુ તેવો વહિવટ બંધ કરાવી નિયમ મુજબ જ કામગીરી કરાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે અનેકવાર ખટરાગ ઉભા થયા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના સભ્યોએ મુખ્યમંત્રીને પણ ડીડીઓ વિરૂઘ્ધ ફરિયાદ કરી બદલીકરવા માંગ કરી હતી. ભાજપના નેતાઓની માંગણી બાદ પણ ડીડીઓની સરકાર દ્વારા બદલી કરવામાં આવતી નથી. આમ, અધિકારીઓ અને પદાધિકારીઓના વર્ચસ્વની લડાઇમાં શું નિર્ણય થાય છે તે મહત્વનું છે.