હુમલાને 9 દિવસ થયા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી
ખાસ-ખબર સંવાદદાતા
લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા 9 દિવસથી પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડે મયૂરસિંહ રાણા પર પાઇપ વડે હુમલો કર્યો હતો. આ કેસમાં દેવાયત ખવડ રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી ચૂક્યા છે. હુમલાને આજે 9 દિવસ થયા છતાં દેવાયત ખવડ ન પકડાતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. આજે ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે ઊમટી પડ્યા હતા અને દેવાયત ખવડને પકડવા માગ કરી હતી. તેમજ ક્ષત્રિય આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે સત્યાગ્રહ પર બેસવા વિચારી રહ્યા છીએ.
- Advertisement -
દેવેન્દ્રસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, મયૂરસિંહ ઉપર હુમલો થયો તેને આટલા બધા દિવસો વીતી ગયા છે, છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. જેથી અમે ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા છીએ. તેમની ધરપકડ થાય અને તેની વિરૂદ્ધ જે કાર્યવાહી થતી હોય તે કરવામાં આવે તેવી માગ કરી છે. જો આવીને આવી પ્રવૃત્તિ રાજકોટમાં ચાલતી રહી તો બધાને મોકો મળશે અને કાયદો હાથમાં લેશે. લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા રહેશે અને તેમને પ્રોત્સાહન મળશે તેવું અમને દેખાઇ છે. અઠવાડિયા સુધી અમે રાહ જઇશું નહીંતર ગાંધી ચિંધ્યા માર્ગે પોલીસ કમિશનર કચેરીમાં સત્યાગ્રહ કરવાનું વિચારી રહ્યા છીએ.