નવરાત્રીના 10 દિવસમાં 14 કરોડના વાહનોનું વેચાણ, 546 વાહનોની નોંધણી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.16
પોરબંદર જિલ્લામાં નવરાત્રીનો તહેવાર ભક્તિ, આરાધના અને મોટા પાયે વાહન ખરીદીની સાથે ઉજવાયો છે. વર્ષો જુની પરંપરા અનુસાર, નવરાત્રીના પવિત્ર દિવસોમાં નવું વાહન ખરીદવું શુભ માનવામાં આવે છે. આ વર્ષ પણ પોરબંદર જિલ્લાવાસીઓએ આ પરંપરાને મહત્વ આપતા, 10 દિવસમાં જ રૂ.14 કરોડના વાહનોની ખરીદી કરી તહેવારોની રોનક વધારી દીધી છે. નવરાત્રી દરમિયાન પોરબંદરના માર્ગો પર નવી-ચમકતી કાર અને બાઈકની રેલમછેલ જોવા મળી. જિલ્લામાં 95 મોટર કાર, 80 સ્કૂટર અને 371 બાઈકોનું વેચાણ થયું, જે સાવ વિશિષ્ટ આંક છે.
- Advertisement -
ખાસ વાત એ છે કે, અહીંના લોકોમાં નવ નોરતા અને દશેરા દિવસે વાહન ખરીદી કરવાનો જુસ્સો પરંપરાગત રીતે પ્રચલિત રહ્યો છે. આ વર્ષે પોરબંદર જિલ્લામાં જે વાહનોનું વેચાણ થયું, તેનું કુલ મૂલ્ય 14 કરોડ રૂપિયા જેટલું છે. વાહન ડીલરોના જણાવ્યા મુજબ, આ દરમિયાન અલગ અલગ બ્રાન્ડ્સના કલર અને મોડલની પસંદગી કરી એડવાન્સ બુકિંગ પણ થઈ છે. સામાન્ય રીતે, બાઈક અને સ્કૂટરના ભાવ સરેરાશ 80,000 રૂપિયા જેટલા હોય છે, જ્યારે મોટર કારના ભાવ સરેરાશ 10 લાખ રૂપિયા હોય છે. આ 10 દિવસમાં બાઈક અને સ્કૂટરના વેચાણથી રૂ. 4.32 કરોડની કિંમતનાં વાહનો વેચાયા છે, જ્યારે 95 મોટર કારનું વેચાણ રૂ. 9.50 કરોડ જેટલું નોંધાયું છે.
546 વાહન ખરીદી અને આરટીઓની આવક
નવરાત્રી અને દશેરાના પર્વ દરમિયાન કુલ 546 વાહનોની ખરીદી થવામાં આવી છે, જેમાં મોટર કાર, બાઈક અને સ્કૂટરોનો સમાવેશ થાય છે. આ વાહન ખરીદીના કારણે આરટીઓ કચેરીને ટેકસ અને રજીસ્ટ્રેશન ફી થી રૂ.1.82 કરોડની આવક થઈ છે.
- Advertisement -
દિવાળીમાં વધુ વાહન ખરીદીની આશા
નવરાત્રીનો માહોલ ગરમાવી ચુક્યો છે, અને ડીલરો દ્વારા એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દીવાળીના તહેવારોમાં પણ મોટાપાયે વાહનોની ખરીદી થવાની સંભાવના છે. વિસ્તૃત રેન્જના મોડલ્સ અને વિવિધ ડિલ્સ સાથે લોકો દીવાળીના શુભ પ્રસંગે પોતાનું નવું વાહન લેવા આતુર છે. વાહન ખરીદીની આ ભવ્ય મોસમ પોરબંદરમાં નવનવીન આર્થિક પ્રવૃત્તિઓના ઉન્મેષને વધુ ગતિ આપે તેવી આશા છે, અને તહેવારોની ઉજવણી સાથે જ શહેરના માર્ગો પર નવા વાહનોની રેલમછેલ પણ જોવા મળશે.