ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભલે સીઝફાયર થયુ હોય પણ તણાવ ઓછો થયો નથી. ઈરાને આજે સવારે ત્રણ લોકોને ઈઝરાયલ માટે જાસૂસી કરવા અને હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં ફાંસીની સજા ફટકારી છે.
- Advertisement -
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈદરીસ અલી, આઝાદ શોજાઈ અને રસૂલ અહમદ રસૂલને હત્યાના ષડયંત્રમાં જરૂરી હથિયારો ઈરાનમાં લાવવાનો પ્રયાસ કરવા બદલ સજા ફટકારવામાં આવી છે. આ મામલે તેમની વિરૂદ્ધ કેસ થયો હતો. આજે સવારે ઉરમિયા શહેરમાં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી.
ઈરાનના ઉત્તર-પશ્ર્ચિમ શહેર ઉરમિયાની જેલમાંથી ત્રણેય આરોપીની તસવીરો જાહેર કરવામાં આવી હતી. આ શહેર તુર્કિયેની સરહદ નજીક છે. ઈરાન અવારનવાર ઈઝરાયલ અને અન્ય વિદેશી ગુપ્તચર એજન્સીઓ માટે જાસૂસી કરવાની શંકામાં લોકોની ધરપકડ કરી ફાંસીની સજા ફટકારે છે. ઈરાને છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ઈઝરાયલ સાથે સંબંધ હોવાના આરોપમાં આશરે 700 લોકોની ધરપકડ કરી છે. આ માહિતી ઈરાનની સ્થાનિક મીડિયા એજન્સીએ આપી હતી. આ તમામ પર ઈઝરાયલની ઈન્ટેલિજન્સ એજન્સી મોસાદ સાથે સંબંધ, ગુપ્ત જાણકારી આપવા બદલ, સૈન્ય મથકોને નિશાન બનાવવામાં મદદ કરવાનો આરોપ મૂકાયો છે. તમામની પૂછપરછ થઈ રહી છે. તેમને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી શકે છે. ઈરાને ઈઝરાયલ માટે કામ કરનારાઓને પકડવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે સવારે ઈરાન અને ઈઝરાયલે છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ પર સીઝફાયર કર્યું હતું. જો કે, સીઝફાયરની જાહેરાતના થોડા કલાકોમાં જ ઈરાને ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. બીજી તરફ ઈઝરાયલે પણ વળતો જવાબ આપતાં તેહરાનમાં બે એરસ્ટ્રાઈક કરી હતી. બંને દેશો દ્વારા સીઝફાયરનો ભંગ કરાતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ નારાજ થયા હતાં. ઉલ્લેખનીય છે, ટ્રમ્પે જ વહેલી સવારે બંને દેશો વચ્ચે સીઝફાયર થયુ હોવાની જાહેરાત આપી હતી.