ISROના અધ્યક્ષે કહ્યું, જ્યારે આદિત્ય L1 એ L1 પોઈન્ટ પર પહોંચશે, ત્યારે અમારે ફરી એકવાર એન્જિન ચાલુ કરવું પડશે જેથી તે આગળ ન વધે
સૂર્ય મિશન આદિત્ય L1 ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ISROના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે, ભારતનું પ્રથમ સૌર મિશન ‘આદિત્ય L1’ 6 જાન્યુઆરીએ તેના ગંતવ્ય ‘લેગ્રેન્જિયન પોઇન્ટ’ (L1) પર પહોંચશે, જે પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે. આ મિશન ISRO દ્વારા 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) થી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રથમ અવકાશ-આધારિત ભારતીય વેધશાળા છે જેના હેઠળ ‘હેલો ઓર્બિટ L1’ પરથી સૂર્યનો અભ્યાસ કરવામાં આવનાર છે.
- Advertisement -
India will have its own 'Bharat Space Station' during Amrit Kal: ISROhttps://t.co/lCQBTQUhEa
— All India Radio News (@airnewsalerts) December 22, 2023
- Advertisement -
વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટે કામ કરતી બિન-સરકારી સંસ્થા (NGO) વિજ્ઞાન ભારતી દ્વારા આયોજિત ભારતીય વિજ્ઞાન પરિષદમાં સોમનાથે મીડિયાને જણાવ્યું હતું કે, આદિત્ય L1 6 જાન્યુઆરીએ L1 પોઇન્ટમાં પ્રવેશ કરશે તેવી આશા છે. ચોક્કસ સમય સમયસર જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જ્યારે તે L1 પોઈન્ટ પર પહોંચશે, ત્યારે અમારે ફરી એકવાર એન્જિન ચાલુ કરવું પડશે જેથી તે આગળ ન વધે. તે તે બિંદુ પર જશે અને એકવાર તે તે બિંદુ સુધી પહોંચશે તે તેની આસપાસ ફરવાનું શરૂ કરશે અને L1 પર અટકી જશે.
ઈસરોના વડાએ કહ્યું કે, જ્યારે આદિત્ય L1 તેના ગંતવ્ય પર પહોંચશે ત્યારે તે આગામી 5 વર્ષ સુધી સૂર્ય પર થઈ રહેલી વિવિધ ઘટનાઓને શોધવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે, ભારત ભવિષ્યમાં ટેકનોલોજીની રીતે શક્તિશાળી દેશ બનવા જઈ રહ્યો છે. સોમનાથે કહ્યું કે, ISROએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર ‘અમૃત કાલ’ દરમિયાન ભારતીય અવકાશ સ્ટેશન બનાવવાની યોજના બનાવી છે, જેને ‘ભારતીય સ્પેસ સ્ટેશન’ કહેવામાં આવશે.