કોંગ્રેસ અગ્રણીઓ AC લઈને આવ્યા પરંતુ હોસ્પિટલ તંત્રએ ન સ્વીકાર્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં અનેક વખત એસી બંધ થયાની ઘટના બની છે. આજે પણ ઈમરજન્સી વોર્ડમાં 5થી 6 એસી છે પણ તેમાં મોટાભાગના એસી બંધ છે. દર્દીઓ ઘરેથી પંખા લઇ આવે છે તો અમુક દર્દીઓએ ભાડે પંખા લીધા છે. પરંતુ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. બીજી તરફ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટની ચેમ્બરમાં ત્રણ-ત્રણ એસી છે. ત્રણેય ચાલુ કન્ડિશનમાં છે. આ પહેલા પણ સાંસદ મોહન કુંડારિયાને રજૂઆત કરી હતી. ત્યારે આજે રાજકોટ કોંગ્રેસ નવું એસી આપવા સિવિલ હોસ્પિટલ પહોંચી આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો. કોંગ્રેસના અગ્રણી પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, હજુ જરૂર પડશે તો વધુ એસી આપવાનું પરંતુ સિવિલ તંત્ર દ્વારા આ એસી સ્વીકારવામાં આવ્યા નથી. હાલ એસી રિપેર માટે અમે કારીગર બોલાવ્યા છીએ.
- Advertisement -
કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતુ કે, ઈમરજન્સી વોર્ડમાં એસી બંધ હાલતમાં છે. દર્દીઓ જણાવ્યું હતું કે, પંખાઓ અમે ઘરેથી લઈને આવીએ છીએ. દર્દીઓની માથે તેમના સગાઓ છાપા, પસ્તીથી પવન નાખતા હતા. કોંગ્રેસ અગ્રણીએ જણાવ્યું કે, આવી પરિસ્થિતિમાં અમે એક નવું એસી લઇને આવ્યા છીએ અને રિપેરિંગવાળા પણ સાથે છે. પાંચે પાંચ એસી રિપેરિંગ કરી નવું એસી પણ ફીટ કરવાના છીએ. ડીનની ઓફિસમાં ત્રણ-ત્રણ એસી હોય અને દર્દીઓ માટે એક પણ એસી ન હોય ત્યારે તે પોતાની સવલતો જ જોવે છે. દર્દીઓ ઓક્સિજન કે વેન્ટિલેટર પર હોય તો તેને ખરેખર એસીની જરૂર હોય છે. નાના માણસો પાસે ખાનગી હોસ્પિટલમાં જવાના પૈસા ન હોય ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવે છે.