સમુદ્રમાંથી તિરંગો લહેરાવી અને બેનર્સ દ્વારા ‘મતદાન અવશ્ય કરીએ’નો સંદેશ આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
ગીર સોમનાથ જિલ્લો વિશાળ સમુદ્ર કિનારો ધરાવે છે. આ વિશાળ જળરાશિના કિનારે વસેલા સાગરખેડૂઓ વર્ષમાં મોટાભાગે તેમની આર્થિક પ્રવૃત્તિઓના ભાગરૂપે માછીમારી માટે સમુદ્રમાં જ રહેતાં હોય છે. આ સાગરખેડૂઓ લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં સહભાગી બને અને તેઓ મતદાન માટે પ્રેરિત થાય તે માટે આજે સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર સમુદ્રની લહેરાતી શીતલહેરો વચ્ચે સવારના ભાગે તેમની બોટ સુધી પહોંચી અને ‘બોટ થી વોટ’ના મંત્ર સાથે મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો.
- Advertisement -
આજે સવારે જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ નિરીક્ષક મોહંમદ ઝુબેર અલી હાશમી, પોલીસ નિરીક્ષક નાઝનીન ભસીન, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર સમુદ્રમાં સાગરખેડૂઓ વચ્ચે પહોંચ્યું હતું. વેરાવળ કોસ્ટગાર્ડની જેટી પર યોજાયેલા આ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ખલાસી ભાઈઓ અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ લોકો જોડાયા હતાં અને સમુદ્રમાં બોટને કતારબદ્ધ ગોઠવી અને સમુદ્રમાંથી જ તિરંગા લહેરાવી અને બેનર્સ દ્વારા ’મતદાન અવશ્ય કરીએ’ નો સંદેશો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવ્યો હતો.