ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
ભારત સરકાર દ્વારા રજી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા. 17થી તા. 2-10-2024 સુધી સ્વચ્છતા હી સેવા-2024 પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. 23-9ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાની વિવિધ થીમ પર શહેરની 20થી વધારે જગ્યા પર વોલ પેઈન્ટિંગ (મ્યુરલ) કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવવા કામગીરી કરવામાં આવી હતી.
- Advertisement -
શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં સ્વચ્છતા થીમ પર વોલ પેઈન્ટીંગ કરી નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે અને જાહેરમાં ગંદકી ન કરે તે માટે નાગરિકોને રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ દ્વારા અપીલ કરવામાં આવી છે.