9 મેથી 12 મે સુધી દશાશ્ર્વમેઘ ઘાટ પર થશે ગંગા આરતી: 7.45 વાગ્યે અનોખો ડ્રોન શૉ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી ઉમેદવારી પત્રક ભરે તે પહેલાં ભાજપ અનોખા શોની તૈયારીઓ કરી રહ્યું છે. બનારસના પ્રસિદ્ધ દશાશ્ર્વમેઘ ઘાટ પર ડ્રોન શોનું આયોજન કરવામાં આવશે. સતત ચાર દિવસ સુધી આ ડ્રોન શો યોજાશે. આ શોમાં લગભગ એક હજાર ડ્રોન સામેલ થશે. આ દરમિયાન કાશીમાં થયેલા વિકાસ કાર્યોની સાથે સાથે ફિર એક બાર મોદી સરકાર અને અબકી બાર 400 પારના નારા ગુંજશે. આ આયોજન 9 મેથી 12 મે સુધી દશાશ્ર્વમેઘ ઘાટ પર થશે. ગંગા આરતી પછી તરત જ 7.45 વાગ્યે આ અનોખો ડ્રોન શો યોજાશે. ભાજપના મીડિયા પ્રભારી નવરતન રાઠીના જણાવ્યા મુજબ, મોદી અને કાશીવાસીઓના પ્રેમ-દુલારને દર્શાવવા માટે જમીનથી લઈને આકાશ સુધી તૈયારીઓને ધ્યાનમાં રાખીને લોકસભા ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર માટે એક અનોખો પ્રોગ્રામ નક્કી કરાયો છે.
- Advertisement -
જે અંતર્ગત ડ્રોન શોનું આયોજન થવા જઈ રહ્યું છે. રાઠીએ કહ્યું કે, તે કહેવામાં કોઈ અતિશ્ર્યોક્તિ નથી કે કાશીનો દરેક વ્યક્તિ ફિર એક બાર મોદી સરકાર માટે સંકલ્પિત છે. કાશીવાસીઓના મનમાં તે વાતને લઈને કોઈ જ સંશય નથી કે ગત બે લોકસભા ચૂંટણીની તુલનાએ આ વખતે વડાપ્રધા મોદીને વધુ વોટથી જીતાડવા છે. આ ડ્રોન શો વડાપ્રધાન મોદી અને જનતા વચ્ચેના અતૂટ સંબંધનો સાક્ષી બનશે. ચાર દિવસ સુધી ડ્રોન શો પછી 13 મેનાં રોજ વડાપ્રધા મોદી વારાણસીમાં રોઢ શો અને કાશી વિશ્ર્વનાથ મંદિરમાં દર્શન પૂજન કરશે.
જેના બીજા દિવસે 14 મેનાં રોજ વડાપ્રધાન મોદી ઉમેદવારી પત્રક ભરશે. સુનીલ બંસલે વડાપ્રધાન મોદીના રોડ શોને લઈને પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરી અને જરુરી દિશા નિર્દેશ આપ્યા. બંસલે કહ્યું કે, કાશીમાં વડાપ્રધાન મોદીના રોડ શોને ઐતિહાસિક બનાવવા એક નવો ટ્રેન્ડ સેટ કરે. કહ્યું કે વારણાસી લોકસભાની તમામ પાંચ વિધાનસભાઓમાં બૂથ સ્તરે બેઠક કરીને બૂથ સમિતિની સાથે તમામ જનપ્રતિનિધિ તેમજ વરિષ્ઠ ભાજપના પદાધિકારી ઘરે ઘરે જઈને કાશીવાસીઓને રોડ શોમાં આવવાનું નિમંત્રણ પત્ર આપે.
લંકાથી લઈ કાશી વિશ્ર્વનાથ સુધી અલગ અલગ જવાબદારી
વડાપ્રધાન મોદીના રોડ શોને લઈને લંકાના માલવીય પ્રતિમાથી લઈને કાશી વિશ્ર્વનાથ ધામ સુધી 11 બીટ બનાવવામાં આવ્યા છે અને આ 11 બીટની જવાબદારી જનપ્રતિનિધિઓ તેમજ ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓને સોંપાઈ છે. આ 11 બીટ અંતર્ગત 10-10 પોઈન્ટ એટલે કે લગભગ 100 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે જેના પર મરાઠી, ગુજરાતી, બંગાળી, માહેશ્ર્વરી, મારવાડી, તમિલ, પંજાબી આદિ સમાજના લોકો પોતાની પરંપરાગત વેશભુષામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે. આ પોઈન્ટ પર ફુલોનો વરસાદ પણ થશે. ઢોલ-નગારા વગાડવામાં આવશે. શરણાઈ, શંખનાદ, ડમરુ દળની સાથે કાશીની જનતા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે. આ સાથેજ અનેક જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ, લોક નૃત્ય, લોકગીત ગાત બનારસના કલાકાર તેમજ વૈદિક મંત્રોચ્ચાર કરતા બટુક વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે મુસ્લિમ સમાજના લોકો પમ આગળ આવી રહ્યાં છે. મદનપુરામાં તેમના દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.