ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના આંબલિયાળા ગામે આધેડ ઉપર થયેલા ખાનગી ફાયરિંગ મામલે ગણતરીના કલાકોમાં જ પોલીસે હરિયાણાના ફરીદાબાદથી ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં આરોપીની માતા સાથે આધેડને અનૈતિક સંબંધ હોવાના કારણે તેના ઘરમાં ઝગડા થતા હોવાથી તેમને ખતમ કરવા તૈયારી સાથે આવી ફાયરિંગ કર્યાનો ખુલાસો થયો છે. પત્રકાર પરીષદમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવેલ કે, ચાર દિવસ પૂર્વે તા.7 ના રોજ તાંતીવેલાથી આંબલીયાળા જતા રસ્તા ઉપર નગાભાઇ બામણીયા નામના આધેડ ઉપર બાઈકમાં હેલ્મેટ પહેરી આવેલા એક શખ્સે એક રાઉન્ડ ફાયરિંગ કરી નાસી ગયો હતો. ફાયરિંગ કરનાર શખ્સની શોધખોળ માટે એલસીબીના પીઆઈ એ.એસ.ચાવડા, એસઓજી પીઆઈ એ.બી.જાડેજાના નેતૃત્વમાં પોલીસ ટીમોએ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી.આ બનાવ દરમિયાન પોલીસની ટીમોએ નેત્રમ હેઠળ લાગેલ સીસીટીવીના ફુટેજો તપાસતા ફાયરિંગ કરી નાસી જનાર શખ્સની એફઝેડ બાઈકની માહિતી મળી હતી. જે બાઈકના નંબર પ્લેટની વેરીફાઈ કરી તપાસ આગળ વધારતા અંગત બાતમીદારો પાસેથી અને ટેકનીકલ સર્વેલન્સ મારફત માહિતી મળેલ કે આરોપી શખ્સ દિલ્હી – હરિયાણા તરફ નાસી ગયો છે. જેના આધારે સ્ટાફના રામદેવસિંહ જાડેજા, નરેન્દ્ર પટાટ, અજીતસિંહ સહિતની ટીમને તપાસ અર્થે હરિયાણા રવાના કરાયા હતા. બાદમાં મોડીરાત્રીના હરિયાણાના ફરીદાબાદની એક હોટલમાંથી ફાયરિંગ કરનાર આરોપી સુખદેવ ભુપત ઓડેદરાને ઝડપી લીધો હતો. બાદમાં ગતરાત્રીના અત્રે વેરાવળ લઈ આવવામાં આવ્યો હતો.આ ફાયરિંગ કરવા અંગે પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, આરોપી સુખદેવની માતા ફરીયાદી નગાભાઇની સાથે સંપર્કમાં હોવાના કારણે તેના ઘરમાં અવાર નવાર ઉગ્ર વાતાવરણ થતું હતુ. જે બાબતથી કંટાળી જઈ આરોપીએ ફરીયાદીને મારવાનું નક્કી કર્યુ હતુ. તેના માટે ફરીદાબાદથી દેશી બનાવટના હથીયાર આરોપી સાથે લાવ્યો હતો. અહીં હોટલમાં એક દિવસ રોકાઈને ઘટનાની એક દિવસ અગાઉ રેકી પણ કરી હતી. ત્યારબાદ બીજા દિવસે મારી નાંખવાના ઇરાદે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે.
વેરાવળનાં આંબલિયાળામાં આધેડ પર ફાયરિંગ કરનાર ઝડપાયો
