આજે રાત્રે સૌરાષ્ટ્રના ઓસમાણ મીર પોતાનો સૂર લહેરાવી રાજકોટની જનતાને ડોલાવશે
વ્યાસજીના ભાગવતમાં, વ્યાસના રામ પરબ્રહ્મ પરમાત્મા છે: પૂ. ભાઈજી રમેશભાઈ ઓઝા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ-અયોધ્યાનગરી ખાતે સાંસદ રામભાઈ મોકરીયા પરિવારના યજમાનપદે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા- ભાગવત કે રામના ગઈકાલે દ્વિતીય દિને રાજકોટ અને આસપાસના ગામડાઓની ધર્મનુરાગી જનતાએ વિશાળ સંખ્યામાં હાજરી આપી. વ્યાસપીઠેથી પૂજ્ય ભાઈજી રમેશભાઈ ઓઝાએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું દિવ્ય મહાત્મ્ય સરળ ભાષામાં લોકો સમક્ષ રજૂ કરતા કહ્યું કે વ્યાસજીના ભાગવતમાં, વ્યાસના રામ પરબ્રહ્મ પરમાત્મા છે, જ્યારે તુલસીના રામ સરાસર બ્રહ્મ છે. શ્રીરામ પ્રકાશિત છે, જગત પ્રકાશીય છે અને આત્મા પ્રકાશક છે. આ રામાયણમાં તુલસીદાસે ચાર ભાગમાં કથા પ્રસ્તુત કરી છે. જ્ઞાન, કર્મ, ભક્તિમાર્ગ અને શરણાગતિ ભાગમાં તુલસી પોતાના મનને કથા સંભળાવે છે.- શુકદેવજી એટલે ભાગવત, ભાગવતના પ્રથમ સ્કંધમાં વેદો – ઉપનિષદોનો મહિમા છે. શ્રીમદ ભાગવત સંસારીઓ પરીક્ષિત માટે ઔષધ છે, નિરોગી લોકો સનકાદી મુનિઓ માટે રસાયણ છે, પ્રેમી ભક્તો-ગોપીઓ માટે અમૃત છે જ્યારે પરમહંસો શુકદેવજી, શિવ, સનતકુમારો માટે નસો ચડે એવું આસવ છે.- માનવ અને ઈશ્ર્વર વચ્ચે પ્રેમનો સંવાદ કરવા વેદો, ઉપનિષદો, ભગવદ્ગીતા, પ્ર-દર્શનો, જૈન ધર્મના આગમો, સ્વામિનારાયણની શિક્ષાપત્રી, શીખ ધર્મનો ગ્રંથ સાહેબ, પારસીના જીદ અવસ્તા, કુરાન, બાયબલ વગેરે ધર્મગ્રંથો યુગોથી ઉપદેશો આપે છે, માનવ સમાજમાં સંવાદિતતાને કાયમ કરવાનો ધર્મગ્રંથોનો આશય છે.
ભાગવતની આગળની યાત્રા વર્ણવતા રમેશભાઈ ઓઝા કહે છે કે, બ્રહ્મસૂત્રના ચાર સૂત્રો પૈકી બીજા સૂત્રથી ભાગવતનો પ્રારંભ થાય છે. ભાગવત ગાયત્રી મંત્રનો વિસ્તાર છે, ભાગવતનો પ્રારંભ સત્યમ પરમ ધીમહીથી થાય છે, કથા વિવિધ સંદર્ભમાં પૂજ્ય ભાઈશ્રીએ સત્સંગના મહત્વ બાબતે કેટલાક પ્રશ્નો કર્યા, જેમાં શાસ્ત્રો, ઇતિહાસ, પુરાણ, વેદ ધર્મ શાસ્ત્રો બધાનો સાર શું છે? શ્રેય-કલ્યાણ કોણ છે? કલ્યાણ માટેનું સાધન, ભગવાનના અવતારનું પ્રયોજન અને સનાતન ધર્મ તથા મૌંનના મહત્વની હૃદયસ્પર્શી વાતો કરી, છેલ્લા છઠ્ઠા પ્રશ્ર્નમાં ભગવાન શ્રીરામ પધાર્યા પછી ધર્મ ક્યાં ગયો? – પોથીના પાનામાં ધર્મ નથી, હવે ગુરુકુળ, આશ્રમો, મંદિર-મઠો, જલારામ બાપાની ઝૂંપડીમાં ધર્મ છે.
ધર્મ બે પ્રકારના છે, દેહધર્મ અને આત્મધર્મ. ભરતજી નો દેહધર્મ એમ કહેતો હતો કે, માતા કૌશલ્યા જીની આજ્ઞાનું પાલન કરીને ગાદી ઉપર બેસવું પણ આત્માનો ધર્મ છે કે, પરમાત્મા ના ચરણમાં જવું. ભરતજી નો આત્મધર્મ કહેતો હતો કે, વનમાં જઈને શ્રી રઘુનાથજીનું શરણ લેવું. હનુમાનજી પાસે રામનામનું બળ હતું અને બ્રહ્મચર્યનું પણ બળ હતું, આ બે બળ હોય તો સંસાર સમુદ્રને ઓળંગીને શ્રી સીતા માતાના દર્શન કરી શકાય.કથા વિરામ પૂર્વે પૂજ્ય રમેશભાઈ ઓઝાએ લંકામાં શ્રીરામ-રાવણનો ભયંકર સંગ્રામ વર્ણવ્યો. રામજી રાવણના મસ્તક કાપે છે, રાવણને નવા નવા મસ્તક આવે છે. રાવણે શિવજીની પૂજા કરી હતી, પોતાના મસ્તકને જ કમળ બનાવી રાવણે શિવજી મહારાજને અર્પણ કર્યું હતું, તેથી તેને નવા નવા મસ્તક આવતા હતા.. આથી યુદ્ધમાં રામજીને પરિશ્રમ થયો તે સમયે અગત્સ્ય મુની રણભૂમિમાં પધાર્યા, તેમણે રામજીને કહ્યું, હે રામ, હે મહાબાહુ! હું તમને એક સનાતન રહસ્ય કહું તે સાંભળો, જેથી તમે સર્વ શત્રુઓને રણમેદાનમાં જીતી શકશો. આ આદિત્ય હૃદય સ્તોત્ર સર્વ શત્રુઓનો નાશ કરનારૂ, વિજય અપાવનારું અને એને નિરંતર જપ કરવાથી પરમ બ્રહ્મને પ્રાપ્ત કરાવનારું છે. જો આ સ્તોત્રનો ત્રણ વાર પાઠ કરશો તો જઈ મેળવશો અને રાવણનો વધ કરી શકશો. અગત્સ્ય મુનિના ઉપદેશ અનુસાર રામજીએ સૂર્ય નારાયણનું સ્તવન પૂજન કર્યું. યુદ્ધમાં રામજીએ 31 બાણ છોડ્યા, 20 બાણ થી 20 હાથ, 10 બાણ થી દસ મસ્તક અને છેલ્લા એક બાણથી રાવણનું હૃદય વિંધાયું, રાવણનો વધ થયો અને લંકા યુદ્ધમાં રામનો વિજય થયો હતો.
આજે રાતે લોકગાયક ઓસમાણ મીર પોતાના સૂર લહેરાવશે
રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ દરમિયાન રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દિવસે પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા રાજકોટની ધર્મપ્રેમી જનતાને હરિનામ સ્મરણ અને શ્રવણ થાય છે તો રાત્રે આપણા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે એવા સંગીત અને સાહિત્યના કાર્યક્રમો પણ કથાના સ્થળે જ યોજવામાં આવ્યા છે. ભાગવત કથાની સાથે સૌરાષ્ટ્રના લોકોને સાત્વિક મનોરંજન મળી રહે એ માટે કથા આયોજન સમિતિએ આ કાર્યક્રમોનું આયોજન પણ કર્યું છે. સપ્તાહ દરમિયાન લગભગ દરરોજ રાત્રે કાર્યક્રમમાં હાસ્ય, સંગીત, લોકસંગીત જેવી તમામ બધી કલાઓ આવરી લેવાઈ છે અને ભક્તોને ધાર્મિક માહત્મ્ય ની સાથો સાથ કોઈ પણ પ્રકારની ખામી વિના દરેક રીતે મનોરંજન પૂરું પાડવાના તમામ પ્રયત્નો કથા સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે. ભાગવત સપ્તાહ દરમિયાન તા. 19 શુક્રવારના રોજ રાત્રે 9:00 વાગ્યે જાણીતા ગુજરાતી લોકગાયક અને ખ્યાતનામ ગુજરાત ને આગવી ઓળખ આપનાર એવા સૌરાષ્ટ્રના ઓસમાણ મીરને આમંત્રિત કરવામાં આવ્યા છે જેઓ રાજકોટની જનતાને આનંદ કરાવશે. આજે રાત્રે તેઓ રેસકોર્સ મેદાન, રાજકોટ અયોધ્યા નગરી ના મહેમાન બનશે અને પોતાના સુરીલા અવાજ દ્વારા ભજન ના તાલે રાજકોટની જનતાને ડોલાવશે અને માહોલને રંગીન બનાવશે. ગઈ કાલે રાત્રે સપ્તાહ દરમિયાન યોજાયેલ હસાયરામાં મોકરિયા પરિવાર દ્વારા જાણીતા હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદીને રૂા. 1,51,000 આપી સાલ અને પુષ્પગુચ્છ સાથે તેમનું બહુમાન કરવામાં આવ્યું. તો આ દાનપ્રેમી કલાકારએ પણ સામે એ રકમમાં રૂા. 50,000 ઉમેરી રૂા. 1,00,000ની રકમ શ્રી પંચનાથ હોસ્પિટલને અને રૂા. 1,00,000 જ્યુએનાલ ડાયાબીટીશ ફાઉન્ડેશનને દાન પેઠે અર્પણ કર્યા હતા. રાજકોટ-સૌરાષ્ટ્રના લોકો આ ધર્મોત્સવની સાથે મનોરંજન અને સાંસ્કૃતિક વિરાસત માણી શકે એ માટે આ આયોજન કરાયું છે. આ કાર્યક્રમો પણ જાહેર જનતા માટે ખુલ્લા છે.
- Advertisement -
ગઈકાલે રાત્રે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વડોદરા દુર્ઘટનામાં જીવ ગુમાવેલા બાળકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ