આગ લાગતા નજીકમાં આવેલી કનેરિયા હોસ્પિટલમાંથી અનેક દર્દીઓને બહાર કઢાયા.
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં બસસ્ટેન્ડ પાસે આવેલી ખાનગી લેબોરેટરીમાં લાગેલી આગ પાસેની ખાનગી હોસ્પિટલ સુધી પ્રસરતા થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે હોસ્પિટલમાં દાખલ 10 જેટલાં દર્દીઓને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જેમાં ત્રણની હાલત ગંભીર છે. જો કે, આ આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પણ દોડી આવી હતી અને આગને કાબુમાં લઇ લીધી હતી.
- Advertisement -
જો કે, ફાયરનાં સાધનો સમયસર કામ કરતા ન હતાં તેમજ પાણીનો ધોધ પણ બરાબર ન હોતો થતો. આ સાથે જ ફાયર બ્રિગેડને વાહનમાંથી સીડી પણ ખુલતી ન હોવાનો દર્દીનાં પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જૂનાગઢનાં બસ સ્ટેન્ડ પાસે આવેલી દ્વારકાધીશ માર્કેટમાં પ્રથમ માળે એસ.આર.એલ નામની ખાનગી લેબોરેટરીમાં રાત્રિનાં ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ આગ ધીમે-ધીમે આગળ પ્રસરતા લેબોરેટરીની નજીક જ આવેલા કનેરીયા હોસ્પિટલ સુધી પહોંચી ગઇ હતી અને દર્દીઓએ ભારે ગુંગળામણનાં ભોગ બનવું પડ્યું હતું.
પ્રત્યક્ષદર્શીનાં મતે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર મુખ્ય દરવાજે તાળું મારી બહાર નીકળી ગયા હતાં. જેથી ફાયર બ્રિગેડે હોસ્પિટલમાં તાળા તોડીને દર્દીઓને બહાર કાઢવા પડ્યાં હતાં.