ખેડૂતો પૂરી લોન ભરી દીધી તો પણ બૅન્કે 9.34 રૂપિયા માંગ્યા અને પછી ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માંગ્યા તો બૅન્ક અધિકારીઓ મૂંઝાયા
કર્ણાટકના એક ખેડૂતે કેનરા બૅન્કમાંથી 50000 રૂપિયાની લીધેલી લોન ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ કર્ણાટક, તા.10
બેંકિંગ સિસ્ટમની ઉદાસીનતા અને નિયમોની કડકતા ક્યારેક સામાન્ય લોકોને બળવાખોર બનાવી શકે છે, આવું જ કંઈક કર્ણાટકના હસન જિલ્લામાં જોવા મળ્યું છે. અહીં એક ખેડૂત અને કેનેરા બેંક વચ્ચે માત્ર 9 રૂપિયા 34 પૈસાના મુદ્દે વિવાદ થયો, જેનાથી બેંક અધિકારીઓ મૂંઝાઈ ગયા. કર્ણાટકના એક ખેડૂતની એક સામાન્ય લોનની ઘટના હવે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ખેડૂતે કેનરા બેંકમાંથી 50000 રૂપિયાની લોન લીધી હતી અને તેને પૂરેપૂરી ચૂકવી દીધી હતી. પરંતુ બેંક તરફથી આવેલા એક ફોન કોલે તેમને આશ્ચર્યમાં મૂકી દીધા. બેંકે કહ્યું કે, ’તમારી લોનમાં હજુ 9.34 રૂપિયા ભરવાના બાકી છે અને તે તાત્કાલિક ભરી દો.’ આ નાનકડી રકમની માંગણીએ ખેડૂતને વિચારતા કરી દીધા, પરંતુ તેમણે તેને ગંભીરતાથી લીધી અને બેંકમાં પહોંચી ગયા.
બેંકમાં પહોંચીને ખેડૂતે 10 રૂપિયા જમા કરાવ્યા, જેથી બાકીની રકમ કરતાં વધુ પૈસા જમા થઈ ગયા. પરંતુ વાત આટલેથી પૂરી થતી નથી. તેમણે બેંકના કર્મચારીને કહ્યું, “મારા 66 પૈસા પાછા આપો.” ખેડૂતનો તર્ક હતો કે, જો બેંક એક-એક પૈસાનો હિસાબ માંગે છે અને વ્યાજની ગણતરીમાં એક પૈસાનું પણ મહત્વ છે, તો ગ્રાહક કેમ પોતાના પૈસા ભૂલી જાય? આ વાત સાંભળીને બેંકમાં હાજર અન્ય ગ્રાહકો અને કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. સામાન્ય રીતે આટલી નાની રકમને લોકો અવગણી દે છે, પરંતુ આ ખેડૂતે તેને સિદ્ધાંતની વાત બનાવી દીધી.
આ ઘટના માત્ર 66 પૈસાની નથી, પરંતુ તે બેંકિંગ વ્યવસ્થાની પારદર્શિતા અને ગ્રાહક અધિકારોની છે. ખેડૂતે કહ્યું કે, “બેંકો હંમેશા ગ્રાહકો પાસેથી ચોક્કસ હિસાબ માંગે છે, તો અમે કેમ ન માંગીએ? આ નાની રકમ પણ મારી મહેનતની કમાણી છે.” તેમની આ વાતે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટલાક લોકો તેને આત્મસન્માનનું પ્રતીક માને છે, જ્યારે અન્ય તેને નિયમોના કડક પાલનનું ઉદાહરણ ગણાવે છે. ઘણા યુઝર્સે આને શેર કરીને કહ્યું છે કે, આવી ઘટનાઓ બેંકોને વધુ જવાબદાર બનાવે છે. આ મામલાએ ફરી એક વખત સવાલ ઉભો કર્યો છે કે, શું નાની રકમને અવગણવી યોગ્ય છે? અથવા દરેક લેવડ-દેવડમાં પૂરી પારદર્શિતા જરૂરી છે? કર્ણાટકના આ ખેડૂતની પહેલે બેંકિંગ સિસ્ટમ પર મોટો સવાલ ઉભો કરી દીધો છે. જો બેંકો આટલી નાની રકમ માટે કોલ કરે છે, તો ગ્રાહકો પણ તેમના અધિકારો વિશે જાગૃત થવા જોઈએ. આ ઘટના નાની છે, પરંતુ તેની અસર મોટી હોઈ શકે છે.
ચોકક્ધના ગૌડાની ‘ગાંધીગીરી’ સોશિયલ મીડિયા પર વાયરલ
એક તરફ દેશનો ખેડૂત 66 પૈસા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ દેશભરમાં કરોડોના બેંક છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તાજેતરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ 152 કરોડના કૌભાંડના સંદર્ભમાં દરોડા પાડ્યા હતા જેમાં નકલી ખાતાઓ દ્વારા બેંકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. કેનરા બેંક સામે બાથ ભીડનાર લોનધારક ચોકકન્ના ગૌડાની “ગાંધગીરી” હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને બેંકિંગ લોકપાલના વર્તન પર ગંભીર પ્રશ્ર્નો ઉભા કરી રહ્યું છે.



