આપણે બહારગામ જવા માટે બેગમાં કપડાં વગેરે ગોઠવતાં હોઈએ છીએ. એટલાં બધાં વસ્ત્રો અંદર ભરી દઈએ છીએ કે પછી એક નાનકડો હાથ-રૂમાલ મૂકવા જેટલી પણ જગ્યા રહેતી નથી અને પછી આપણને યાદ આવે છે કે જે પ્રસંગ માટે બહારગામ જઈ રહ્યા છીએ એ પ્રસંગમાં પહેરવાનાં મોંઘાં વસ્ત્રો બેગમાં મૂકવાનાં રહી જ ગયાં છે, ત્યારે આપણે શું કરીએ છીએ? બેગમાંથી 4-5 બિનજરૂરી અથવા તો ઓછાં આવશ્યક એવાં કપડાં કાઢી લઈએ છીએ અને જરૂરી વસ્ત્રો અંદર મૂકી દઈએ છીએ.
આવું જ આપણી અંદર રહેલાં દિમાગી પટારાનું છે. મનની બેગમાં આપણે અહંકાર, ઈર્ષા, લાલચ, લોભ, મોહ ઇત્યાદિ એટલા બધા ગાભા ભરી દીધા છે કે જે સૌથી વધારે આવશ્યક છે એવી વસ્તુ મૂકવાનું રહી જ ગયું છે.
- Advertisement -
આપણે ફરિયાદ કરીએ છીએ કે મારું મન ધ્યાનમાં એકાગ્ર બનતું નથી. ભગવાનમાં માનીએ છીએ પણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા જાગતી નથી, ભક્તિ વધતી નથી. આ બધું એટલા માટે થાય છે કે બેગમાં આપણે જગ્યા રહેવા દીધી નથી. જો પ્રભુ પ્રત્યેની પ્રીતિ અને સાધના માટેની એકાગ્રતા આપણા ભીતરના પટારામાં ભરવા હશે તો ઘણાંબધાં અનાવશ્યક વસ્ત્રો બહાર ફેંકી દેવાં પડશે. તમામ દુન્યવી કામનાઓ બહાર કાઢશો તો જ ભક્તિ માટે જગ્યા થશે.