ધીરેન્દ્ર શાસ્ત્રીની કથામાં ગયાં હતાં, વળતાં ગાડીમાં જ માતા-પિતા, પત્ની, 3 બાળક સાથે દેવાંના કારણે ઝેર પીધું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
હરિયાણાના પંચકુલામાં સોમવારે મોડીરાત્રે દેવાંમાં ડૂબેલા પરિવારના સાત સભ્યે ઝેર પીને આત્મહત્યા કરી લીધી. બધા ઘરની બહાર પાર્ક કરેલી કારમાં હતાં. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં એક વ્યક્તિ જીવતી મળી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ પરિવાર મૂળ ઉત્તરાખંડના દેહરાદૂનનો છે. સોમવારે તેઓ બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સાંભળવા પંચકુલામાં આવ્યાં હતાં. મૃતકોમાં પ્રવીણ મિત્તલ, તેમની પત્ની, વૃદ્ધ માતા-પિતા અને 3 બાળકનો સમાવેશ થાય છે.
- Advertisement -
પ્રવીણ મિત્તલે થોડા સમય પહેલાં દેહરાદૂન ખાતે ટૂર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ શરૂ કર્યો હતો. ત્યાં તેને ધંધામાં ભારે ખોટ થઈ હતી. કારમાંથી એક સુસાઇડ નોટ પણ મળી છે. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
પોલીસે તપાસ કરી ત્યારે કારમાંથી બે પાનાંની સુસાઈડ નોટ મળી આવી. એમાં લખ્યું હતું, “મારા પર દેવું થઈ ગયું છે. આ બધું મારા કારણે થયું છે. મારા સસરાને કંઈ કહેશો નહીં. મારા મામાનો દીકરો અંતિમસંસ્કાર સહિત તમામ વિધિઓ કરશે.” સુસાઈડ નોટ પોલીસ અધિકારીઓ પાસે છે.
એવું કહેવાય છે કે પ્રવીણે દેહરાદૂનમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય શરૂ કર્યો હતો, પરંતુ એ ચાલ્યો નહીં. આ પછી પરિવાર દેવાં નીચે દબાઈ જવા લાગ્યો. આર્થિક સંકટ એટલું બધું હતું કે ઘરના ખર્ચાઓ કાઢવા પણ મુશ્કેલ બન્યું. આ કારણે તેઓ ખૂબ જ નારાજ હતા.
માર્યા ગયેલાઓમાં 3 બાળકનો પણ સમાવેશ થાય છે. તેમની ઉંમર 10થી 15 વર્ષની વચ્ચે છે. ત્રણેય ચંદીગઢના સેક્ટર 28-ડી સ્થિત મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં.