ભારતની લગ્ન વ્યવસ્થા આખા વિશ્વમાં સૌથી વધારે સ્થિર અને મજબૂત ગણાતી હતી. પતિ-પત્ની છૂટાછેડા લે એવું જવલ્લેજ સંભળાતું હતું. આનું કારણ એ છે કે આ દેશમાં લગ્ન એ ચોરીથી ચિતા સુધીનો સંબંધ મનાયો છે. જગતમાં જાન જોડીને લગ્ન કરવા માટે ગયેલા સૌથી પ્રથમ વરરાજા મહાદેવ શંકર હતા. જાન પણ કેવી અને જાનૈયા પણ કેવા હતા! એ જોઈને જ ક્ધયાની માતા મેના મૂર્છિત થઈને ઢળી પડ્યાં હતાં, પણ આ કંઈ સામાન્ય વરરાજા થોડા હતા કે જેની ભીતરમાં હજારો કામનાઓ ખદબદતી હોય અને છતાં બહારથી બધું સારું દેખાડતા હોય. સુંદર વસ્ત્રો, સુંદર પાઘડી, ઘોડી પર અસવાર થઈને બેંડબાજાના સુમધુર અવાજો સાથે દેખાવડા જાનૈયાઓ અને જાનડીઓની સાથે પરણવા આવે એ તો સામાન્ય વરરાજા હોય. ભૂતનાથ તરીકે ઓળખાતા મહાદેવની જાનમાં તો તમામ જીવો અર્થાત્ ભૂતો હોવાના. પણ સૃષ્ટિના આ પ્રથમ વરરાજાના હૈયામાં દુન્યવી કામનાઓની ચપટી એક રાખ જ માત્ર હતી.
સામે પર્વતાધિરાજની પુત્રી સમર્પણના ભાવ સાથે અને હાથમાં વરમાળ સાથે બ્રહ્માંડના અધિપતિને વરવા માટે તત્પર ઊભી હતી. શિવ પાર્વતીનું દામ્પત્ય શ્રેષ્ઠ અને અનુકરણીય મનાય છે. એકવાર પાર્વતીજીએ પતિને પૂછ્યું, “મારે તમારી વધારે સમીપ આવવું હોય તો શું કરવું જોઈએ?” મહાદેવે કહ્યું,”દેવી, તમે આવીને મારી ગોદમાં બિરાજો.” પાર્વતીજી પતિના અધિકાર ભાવ સાથે પતિના ખોળામાં બેઠાં. વાસના રહિત આ સાયુજ્ય રચાઈ રહ્યું. મહાદેવે મા ભવાનીને કહ્યું, “હજી વધારે નિકટ આવો. હજી થોડા વધારે ખસો. હજી વધુ સમીપ આવો.” આમ કરતાં કરતાં પાર્વતીજી મહાદેવની એટલા બધા નિકટ ગયા કે એમનો અડધો દેહ મહાદેવના અડધા દેહમાં ભળી ગયો. પરિણામે બંને એક જ રૂપના બે ભાગ બની રહ્યા. અડધું શરીર મહાદેવનું અને અડધું મા પાર્વતીનું. આમ શંકર ભગવાન ’અર્ધનારીશ્વર’ કહેવાયા. આપણે પામર જીવો શરીરથી તો એક બીજામાં ભળી શકીએ છીએ પરંતુ મન, કર્મ અને વિચારોથી પતિ પત્ની બંનેના અસ્તિત્વ એક બીજામાં ભળી જાય એવા જોડલાં કેટલાં?