આવકવેરા ધારાની કલમોનું રસપ્રદ વિશ્ર્લેષણ કરતી સર્વોચ્ચ અદાલત : વ્યાજ ગણતરી માટે સ્ટેટ બૅન્કના પ્રાઈપ લેન્ડિંગ રેટને પાયો ગણવાનું પણ યોગ્ય : બૅન્ક કર્મચારી સંગઠનોની અરજી ફગાવાઈ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
- Advertisement -
દેશમાં રાષ્ટ્રીયકૃત સહિતની બેન્કોના કર્મચારીઓને તેમની બેન્કો દ્વારા અપાતી વ્યાજમુક્ત લોન એ કરપાત્ર છે અને આવકવેરા વિભાગ તેના પર આકારણી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ પ્રકારે વ્યાજ મુક્ત લોન એ કર્મચારીઓને તેમના પગાર સહિતના ચૂકવણાથી અલગ રીતે અપાતા લાભ કે સુવિધા છે અને તેથી તે કરપાત્ર છે અને આવકવેરા ખાતુ તેના આકારણી માટેના કાર્યમાં તે ગણતરીમાં લઈ શકે છે.
આ અંગે આવકવેરા વિભાગના નિયમોને યોગ્ય ગણાવતા સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે, બેન્ક કર્મચારીઓને અપાતા આ પ્રકારના લાભો એક અલગ- ખાસ લાભ છે અને તે બેન્ક તેના કર્મચારીઓને જ આ પ્રકારે વ્યાજ મુક્ત લોન આપે છે તે એક વિશેષાધિકાર પણ છે. વિવિધ બેન્કના કર્મચારી સંગઠનોએ આવકવેરા ધારા 1961ની કલમ 13(2) (દશશશ) તથા આવકવેરા વિભાગના નિયમ 1962ની કલમ 3(7)(શ) ને પડકારી હતી.
જેમાં બેન્કો દ્વારા તેના કર્મચારીઓને અપાતી લોનને કરપાત્ર ગણવામાં આવી છે. જેમાં કર્મચારીઓને બેન્ક કર્મચારીઓને અન્ય તમામ લાભો કે સુવિધામાં વ્યાજ મુક્ત લોનનો સમાવેશ કરાયો હતો અને તેને કરપાત્ર ગણાવાઈ હતી. કર્મચારી સંગઠનોએ આ ધારાને પડકારતા તેને પડકારી હતી. આ પ્રકારના ધિરાણમાં વ્યાજ દર ગણવા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના પ્રાઈમ લેન્ડીંગ રેટને પાયો ગણાતો હતો જેને કર્મચારી સંગઠનોએ બંધારણની કલમ 14 મુજબ ભેદભાવભર્યા ને આ જોગવાઈનો ભંગ કરતા દર્શાવાઈ હતી.
- Advertisement -
બેન્ક કર્મચારી સંગઠનોની દલીલ હતી કે ગ્રાહકોને જે દરે ધિરાણ આપવામાં આવે છે તેને આ ગણતરીમાં નજર અંદાજ કરાયુ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સંજીવખન્નાની ખંડપીઠે આ પ્રકારના લાભોએ બેન્ક કર્મચારીઓ માટે વિશેષાધિકાર જેવા અને પગારના આધારે મળતા ‘નફા’ તરીકે પણ ગણાવ્યા હતા અને તે પગાર બાદના વધારાના લાભ તરીકે પણ ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે જેને બેન્કમાં કર્મચારી છે તેથી જ તેને આ વ્યાજમુક્ત લોનનો લાભ મળે છે અન્યથા મળી શકયો હોત નહી.
આ ઉપરાંત આ પ્રકારે વ્યાજ મુક્ત લોનમાં કર્મચારીને જે વ્યાજ નહી ભરવાનો લાભ મળે છે તેની ગણતરી માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના પ્રાઈમ લેન્ડીંગ રેટને પણ માન્ય રાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલગ અલગ બેન્કો તેના ગ્રાહકો પાસેથી અલગ અલગ પ્રકરે વ્યાજ વસુલે છે તેના બદલે આ એક સમાન પદ્ધતિ વધુ યોગ્ય રહેશે અને તેનાથી બિનજરૂરી કાનૂની વિવાદો પણ રહેશે નહી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ દેશની સૌથી મોટી બેન્ક છે અને તેના પ્રાઈમ લેન્ડીંગ રેટ એ પાયો બની શકે છે. આ માટેની કરજોગવાઈ છે તે કરદાતાને કોઈ હેરાનગતિ કરનારી પણ નથી.
વેપારીઓ પાસે GSTની સર્ચ, સીઝરની કાર્યવાહી વખતે ધમકી, બળજબરી ન કરો : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વેપારીઓ પાસેથી ગૂડ્ઝ અને સર્વિસિસ ટેક્સ (જીએસટી)ની સર્ચ અને સીઝરની કાર્યવાહી વખતે ધમકી અને બળજબરીનો ઉપયોગ નહીં કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે વેપારીઓને સ્વૈચ્છાએ ટેક્સના બાકી લેણાંની ચુકવણી માટે સમજાવવા કહ્યું છે. જજ સંજીવ ખન્ના, એમ. એમ. સુંદરેશ અને બેલા ત્રિવેદીની બેન્ચે કેન્દ્ર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને જણાવ્યું હતું કે, જણાવ્યું હતું કે, જીએસટીના કાયદા હેઠળ બાકી લેણાંની વસૂલાત માટે ઓથોરિટી પાસે બળનો ઉપયોગ કરવાની સત્તા નથી.
તમારા વિભાગને કહો કે વેપારીઓને સ્વૈચ્છિક રીતે જીએસટીની ચુકવણી કરવા જણાવે. તમારે કથિત કરચોરોને ટેક્સની રકમ ચૂકવવા માટે અન્ય સાથે ચર્ચા અને વિચારણા કરવા 3-4 દિવસનો સમય આપવો જોઈએ. તેના માટે ધમકી અને બળજબરીનો ઉપયોગ થવો જોઈએ નહીં. રાજુએ ભૂતકાળમાં બળનો ઉપયોગ કરાયો હોવાની શક્યતાને નકારી ન હતી, પણ તેમણે જણાવ્યું હતું કે, રિકવરીના મોટા ભાગના કેસમાં વેપારીને સ્વેચ્છાએ નાણાં ચુકવવાનું જણાવાય છે. બેન્ચે જણાવ્યું હતું કે, ઘણા અરજદારોએ આરોપ મૂક્યો છે કે, સત્તાવાળા સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહી વખતે ધાકધમકી અને બળજબરીનો ઉપયોગ કરે છે. કોઈ પેમેન્ટ ચુકવવાનો ઈનકાર કરે તો તમે તેની પ્રોપર્ટી ટાંચમાં લઈ શકો પણ તમારે વેપારીને લેણું ચુકવવા સલાહ અને વિચારણા કરવા માટે સમય આપવો જોઈએ.
રાજુએ કહ્યું હતું કે, કરચોરો ટેક્સ નહીં ચુકવવા વિવિધ માર્ગો અપનાવે છે ત્યારે કોર્ટે તેમને જણાવ્યું કે, એવા લોકોની કાયદાની પ્રક્રિયા હેઠળ ધરપકડ કરો.