મહાનુભાવોએ પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાનો સંદેશ આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નાની વાવડી પટેલ સમાજ વાડી ખાતે 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણના જતન અને વૃક્ષોના મહત્વ પર ભાર મૂક્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, માનવીની સાથે પશુ, પંખી અને સમગ્ર જીવસૃષ્ટિ માટે વૃક્ષો અત્યંત અગત્યના છે. તેમણે પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણ સંરક્ષણમાં આપણી ભૂમિકા વિશે વાત કરી. સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ વનરાજી અને પર્યાવરણને આપણી પ્રાકૃતિક ધરોહર ગણાવી તેની માવજત કરવાની સૌની સામૂહિક જવાબદારી હોવાનું જણાવ્યું હતું. તેમણે ’એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત દરેક વ્યક્તિને એક વૃક્ષ વાવવા અપીલ કરી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું કે, વન વિભાગ પર્યાવરણ અને વૃક્ષોના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. તેમણે ભવિષ્યની પેઢી માટે દરેકને પોતાના ઘર, શેરી કે મહોલ્લામાં એક વૃક્ષ વાવી તેનું જતન કરવા જણાવ્યું. પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું કે, આપણી સંસ્કૃતિમાં વૃક્ષોની પૂજા થાય છે અને વૃક્ષો આપણને પરોપકારની ભાવના શીખવે છે. તેમણે ટકાઉ વિકાસ અને સ્વસ્થ જીવનશૈલી માટે વધુ વૃક્ષોનો ઉછેર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, વન સંરક્ષક સેંથિલ કુમારન, જિલ્લા વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ, જિલ્લા પંચાયત સભ્ય જયંતીભાઈ પડસુંબીયા સહિત અન્ય અગ્રણીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.