જોષીપરા અને બસ સ્ટેશન પાસે ફાટકમાંથી મુક્તિ મળશે
ખાસ-ખબર સંવાદદાતા
ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જૂનાગઢમાં રેલવે ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ બનાવવા માટે મુખ્યમંત્રીએ 56.40 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ફાટક મુક્ત ગુજરાત અંતર્ગત 1 મહાનગરપાલિકા અને 9 નગરપાલિકાને રેલવે ઓવરબ્રિજ નિર્માણ માટે કુલ 443.45 કરોડ મંજૂર કર્યા છે. ત્યારે જૂનાગઢના જોષીપરા ખાતે રેલવે ઓવરબ્રિજ માટે 37.55 કરોડ અને બસ સ્ટેશન પાસે રેલવે અન્ડરબ્રિજ માટે 18.85 કરોડ મળી કુલ 56.40 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રેલવે ઓવરબિજ અને અન્ડરબ્રિજ બનતા શહેરની ટ્રાફિક સમસ્યા હલ થશે, નાગરિકોન સમય અને ઇંધણની બચત થશે.
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના આવા રેલવે ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજની તમામ અમલીકરણની કામગીરીઓ સિંગઇ એન્ટિટી અમલીકરણ સંસ્થા તરીકે જીયુડીસીને સોંપવાની પણ અનુમતિ આપી છે. ત્યારે જૂનાગઢની જનતાને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ અપાવવા રેલવે ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ માટે મુખ્યમંત્રીએ 56.40 કરોડ મંજૂર કરતા આ કામગીરીને શહેરીજનો વતી પ્રદિપભાઇ ખીમાણીએ આવકારી છે.
બસ સ્ટેશન પાસે અન્ડરબ્રિજનો વિરોધ છે
જૂનાગઢ મનપાએ જોષીપરા ફાટક ઉપર ઓવરબ્રિજ અને બસ સ્ટેશન પાસે અંડરબ્રિજ મંજુર કર્યો હતો.આ કામ માટે મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજુર આપી દીધી છે. પરંતુ જૂનાગઢનાં બસ સ્ટેશન પાસે અંડરબ્રિજનો વિરોધ ઉઠ્યો છે. ઓજી વિસ્તારનાં લોકોએ અહીં અંડરબ્રિજ બનાવવાનાં વિરોધમાં છે. અહીં પાણીનાં નિકાલની કોઇ વ્યવસ્થા ન હોય પાણી ભરવાની સમસ્યા ઉભી થઇ શકે તેમ છે. જેના પગલે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. છતા પણ અહીં અંડરબ્રિજને સૈદ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે.