-ગાંધીનગર અકસ્માતોનું પાટનગર: રાજકોટ-મહેસાણામાં પણ દુર્ઘટનાઓમાં મોટો વધારો
ગુજરાતમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ઉમેરાતા વાહનોની સાથોસાથ માર્ગ અકસ્માતો પણ વધી રહ્યા છે. રાજયનું પાટનગર માર્ગ અકસ્માતોનું પણ પાટનગર હોય તેમ ગાંધીનગરમાં માર્ગ દુર્ઘટનાની સંખ્યામાં 25.20 ટકાનો ખતરનાક વધારો થયો છે એટલું જ નહીં અકસ્માતના મૃત્યુઆંકમાં પણ 21 ટકાની વૃદ્ધિ છે.
- Advertisement -
ગુજરાત રોડ સેફટી ઓથોરીટીના સતાવાર આંકડાકીય રીપોર્ટ પ્રમાણે રાજયમાં 2022માં 15751 માર્ગ અકસ્માત થયા હતા તે સંખ્યા આગલા વર્ષના 15086 કરતા 3.7 ટકા વધુ હતી. અકસ્માતમાં મૃત્યુઆંક 7618 હતો તે આગલા વર્ષના 7452 કરતા 2.23 ટકા વધુ હતો.
ગાંધીનગર ઉપરાંત મહેસાણા તથા રાજકોટ જીલ્લામાં પણ માર્ગ અકસ્માતોમાં 23.9 ટકાની મોટી વૃદ્ધિ થઈ હતી. અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં 14.20 ટકાનો વધારો હતો. જીવલેણ અકસ્માતોની દ્દષ્ટિએ મહેસાણામાં અકસ્માત મૃત્યુઆંકમાં 18 ટકા તથા મહેસાણામાં 13 ટકાનો વધારો હતો જે ગાંધીનગર પછી બીજા અને ત્રીજા ક્રમે છે.
રિપોર્ટમાં એવું પણ વિશ્ર્લેષણ કરવામાં આવ્યું છે કે કોર્પોરેશન ધરાવતા અમદાવાદ, વડોદરા, રાજકોટ તથા સુરત જેવા ચાર જીલ્લાઓમાં જ રાજયના કુલ પૈકીના 33 ટકા માર્ગ અકસ્માત અને 31 ટકા મોત થયા હતા. આ ચાર જીલ્લામાં માર્ગ દુર્ઘટના 8.5 ટકા વધીને 5421 થઈ હતી જે 2020માં 4999 હતી આ જ રીતે અકસ્માતમાં મોત 3.6 ટકા વધીને 2410 થયા હતા જે આગલા વર્ષે 2286 હતી.
- Advertisement -
ગુજરાતના કુલ 33માંથી 16 જીલ્લામાં માર્ગ અકસ્માતમાં ઘટાડો નોંધાયો હતો. પોરબંદરમાં કોઈ વધારો ઘટાડો ન હતો જયારે બાકીના 16 જીલ્લામાં અકસ્માત વધ્યા હતા. સીનીયર અધિકારીઓએ કહ્યું કે, ટુ-વ્હીલરને સાંકળવા અકસ્માતોની સંખ્યા ઘણી મોટી હતી. બીજા ક્રમે હાઈવે પર કાર દુર્ઘટના હતી.
ગુજરાત રોડ સેફટી ઓથોરીટી દ્વારા અકસ્માત માટે ભયજનક-ખતરનાક 265 ‘બ્લેકસ્પોટ’ની ઓળખ કરી છે તેમાં 118 નેશનલ હાઈવેના છે જયારે 123 માર્ગ-મકાન વિભાગ હસ્તકના સ્ટોર હાઈવે સહિતના માર્ગો પર છે. 24 શહેરી વિકાસ સતામંડળ હેઠળના રોડ પર છે.
ટ્રાફિક નિષ્ણાંત અમીત ખત્રીના કહેવા પ્રમાણે ગાંધધીનગરમાં પહોળા તથા સારા હોડને કારણે અકસ્માતો વધ્યા છે. નાના સેન્ટરોમાં અકસ્માતમાં મોત વધવા પાછળનું કારણ પર્યાપ્ત આરોગ્ય સુવિધા ન મળ્યાનું છે. શહેરોમાં 10 મીનીટમાં એમ્બ્યુલન્સ આવી જાય છે. ગ્રામ્ય ભાગોમાં 20 મીનીટથી વધુ સમય લાગે છે. હાઈવે પર ટુ વ્હીલરનું પરિવહન વધ્યુ છે એટલે ભારે વાહનો સાથેની ટકકરથી જીવલેણ બને છે. ટુ-વ્હીલર માટે હાઈવે પર અલગ માર્ગ રાખવા સરકારને ભલામણ કરવામાં આવી છે.