ખાસ-ખબર સંવાદદાતા
શિયાળામાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે હદયરોગના હુમલાઓ વધ્યા છે. રાજકોટમાં 48 કલાકમાં ચાર લોકોના હદય બંધ પડી જતા મોત થયા છે. પરિવારજનોએ એવો દાવો કર્યો હતો કે આ લોકોના મૃત્યુ હાર્ટએટેકના કારણે થયા છે. ત્યારે આ અંગે હાર્ટ સ્પેશ્યાલીસ્ટે જણાવ્યું હતું કે શિયાળામાં હદય રોગના કેસ વધતા હોય છે. વધુ પડતી ઠંડીના કારણે લોહીની ધમનીઓ સંકોચાતી હોય છે. જેથી વહેલી સવારે હદયરોગ અને લકવાના કેસ વધારે જોવા મળતા હોય છે. આવા કેસ છેલ્લા ત્રણ વર્ષ થયા વધ્યા છે.
ડોકટરોનું કહેવું છે કે, જયારે વધારે પડતી ઠંડી હોય ત્યારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જોકે, ડોકટરની દ્દષ્ટિએ મોબાઈલ પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી ગુણવતાવાળી ઉંગ નથી આવતી. તે પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. રાજકોટ સહિત દેશભરમાં હદય રોગના કેસ સતત વધી રહ્યા છે જે સામાન્ય નાગરિકથી લઈને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી તમામ માટે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા ત્રણેક વર્ષ થયા હદય રોગના કેસ સતત વધતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. તો બીજી તરફ બીમાર લોકોની સારવાર માટે સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સ વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. આ 108 એમ્બ્યુલન્સ હદય રોગના દર્દીઓની સારવાર માટે સતત દોડતી રહી છે.
રાજકોટ 108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજરે રાજકોટ જિલ્લામાંથી આવતા હાર્ટ એટેકના કેસ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, જિલ્લામાંથી એક જ દિવસમાં હાર્ટ એટેકના 11 કોલ આવ્યા હતા. છેલ્લા ત્રણ મહિનામાં હાર્ટ એટેકના 1398 કોલ આવ્યા હતા. જેમાં ઓકટોબર મહિનામાં 466 કોલ આવ્યા હતા. નવેમ્બર મહિનામાં 458 કોલ આવ્યા હતા. ડિસેમ્બર મહિનામાં 470 કોલ આવ્યા હતા. વર્ષ 2023માં 4910 દર્દીઓની હાર્ટ એટેક આવ્યો હોવાના કોલ આવ્યા હતા.
રાજકોટમાં છેલ્લા 3 માસમાં હાર્ટએટેકના 1398 કેસ, બે વર્ષથી વધતી સંખ્યા
